વડોદરામાં પૂરની સ્થિતિમાં રાહત અને બચાવ કાર્યની પ્રભારી મંત્રીએ સમીક્ષા કરી
વડોદરામાં પૂરની સ્થિતિમાં રાહત અને બચાવ કાર્યની પ્રભારી મંત્રીએ સમીક્ષા કરી
ભારે વરસાદની આગાહીને પગલે તત્કાલ વડોદરા દોડી આવેલા પ્રભારી મંત્રી પ્રદીપ પરમારે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે કરાયેલી તૈયારીની સમીક્ષા કરી હતી. પૂર નિયંત્રણ અને રાહત કામગીરી પ્રત્યે જનપ્રતિનિધિઓ તરફથી મળેલી રજૂઆતો સાંભળી હતી અને તેનું સકારાત્મક નિરાકરણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લા પ્રભારી મંત્રીએ વહિવટી અધિકારીઓ સાથે સીક્ષા બેઠક યોજી તમામ તૈયારીની વિગતો મેળવી હતી, જેમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ ઉપરાંત જરૂરત મુજબની એસડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે. મહાનગરપાલિકાના ૬૦ વ્યક્તિની ટીમ તહેનાત કરવામાં આવી છે. ૨૨ ઓબીએમ, ૩૯ બોટ, ૧૦૮ ફાયર વાહનો, ૮૧ ટ્રી ટ્રિમિંગ અને કટર, ૧૫૮ લાઇફ જેકેટ જેવા સાધનો પૂર્વ ચકાસણી કરી તૈયાર રાખવામાં આવ્યા છે.
વિશ્વામિત્રી નદી ઉપરાંત સાત અન્ડરપાસ તથા અન્ય સ્થળોએ સેન્સર બેઝ્ડ સિસ્ટમ મૂકવામાં આવી છે. જેથી પાણીની ભરાવની સ્થિતિનું તત્કાલ માહિતી મળતા સમયસર સલામતીના પગલાં લઇ શકાય એમ છે. શહેરમાં ૨૨ જેસીબી મશીનની વોર્ડ વાઇઝ ફાળવણી કરી દેવામાં આવી છે. કુલ ૧૩૩ ટીપર વાહન, બે ક્રેઇન ઉપરાંત નાગરિકોને ખસેડવા માટે ૨૦ સિટી બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
શહેરમાં પાણી ભરાવાની સ્થિતિમાં તેના નિકાલ માટે પાલિકાના વિવિધ ક્ષમતાના કુલ ૧૫ ડિવોટરિંગ પમ્પ ઉપરાંત જરૂર પડે ત્યારે સિંચાઇ વિભાગના પણ આવા ૧૫ પમ્પ ઉપયોગમાં લઇ શકાય એમ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ૨૭, પશ્ચિમમાં ૧૭, ઉત્તરમાં ૮૨ અને દક્ષિણ વિસ્તારમાં ૧૧ મળી કુલ ૧૩૭ ફ્લડ લગાવવામાં આવી છે. વીજ કંપનીના સંકલનમાં રહી સ્ટ્રીટ લાઇટ શરૂ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
વરસાદ દરમિયાન વૃક્ષો પડી જવાના કારણે રસ્તાઓ બંધ થવાની સ્થિતિને પહોંચી વળવા માટે મહાપાલિકા દ્વારા ૪ હાઇડ્રોલિક પમ્પ, ૭ ચેનઇ શો, એક ગ્રાઇન્ડર અને ૧૦ ટ્રેક્ટર ટ્રેલર રાખવામાં આવ્યા છે.
આરોગ્ય કેન્દ્રો ઉપર પૂરતા પ્રમાણમાં દવાઓ સાથે તબીબોને તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે ઝોન દીઠ એકએક એમ ચાર તત્કાલ મેડિકલ ટીમ બનાવવામાં આવી છે. સ્થળાંતરિત વ્યક્તિઓનું આશ્રય સ્થાનો ઉપર મેડિકલ ચેકઅપ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. વડોદરા શહેરમાં ૨૫૦૦થી વધુ નાગરિકો રહી શકે એવા આશ્રય સ્થાનો નિયત કરી દેવામાં આવ્યો છે. શહેરના રસ્તાઓ ઉપર અત્યાર સુધીમાં પડેલા કુલ ૩૯૧ ખાડાઓ ઉપર પેચ વર્ક કરવામાં આવ્યા છે.
પ્રભારી મંત્રીએ જનપ્રતિનિધિઓની વીજળી, માર્ગો અને કૃષિ, ટ્રાફિક અને જળભરાવ બાબતની રજૂઆત સાંભળી હતી અને તેનો નિકાલ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મંત્રીએ વડોદરામાં પૂરની આફત સામે તંત્ર સજ્જ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
