ઇજિપ્તના હુમલામાં 235નું મૃત્યુ, પાક.ના પેશાવરમાં આત્મઘાતી હુમલો
શુક્રવારે બે મોટા હુમલાઓઇજિપ્તના મિસ્ત્રમાં ચરમપંથીઓનો હુમલો, 235નું મૃત્યુપાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલો, એઆઇજીનું મૃત્યુ
ઇજિપ્તના ઉત્તરી પ્રાંત સિનાઇમાં એક મસ્જિદ પર મોટો હુમલો થયો હતો. આ હુમલામાં 235 લોકોનું મૃત્યુ થયું છે અને અનેક ઇજાગ્રસ્ત છે. સ્થાનિક ખબરો અનુસાર, સંદિગ્ધ ચરમપંથીઓએ બોમ્બથી મસ્જિદ પર હુમલો કર્યો હતો અને ત્યાર બાદ ગોળીબાર કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ મીડિયાને જાણકારી આપતા કહ્યું હતું કે, શુક્રવારે નમાજ દરમિયાન અલ-અરિશ નજીક અલ-રાવદાની એક મસ્જિદમાં આ ઘટના ઘટી હતી. આ પહેલાં સિનાઇમાં જ ઇજિપ્તના સૈનિકો પર મોટો ચરમપંથી હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ચરમપંથીઓ સામે સંઘર્ષ કરી રહ્યું છે. વર્ષ 2013માં ત્યારના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીને પદ પરથી ખસેડ્યા બાદ આ વિસ્તારમાં ચરમપંથીઓના હુમલા વધતા જાય છે.
તો બીજી બાજુ પાકિસ્તાનમાં પણ શુક્રવારે આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાનના પખ્તુનખ્વાની રાજધાની પેશાવરમાં એક આત્મઘાતી હુમલો થયો હતો. હુમલાખોરે મોટરસાયકલથી એક વાહનને ટક્કર મારી દીધી હતી, જેના કારણે વરિષ્ઠ પોલીસ અધિકારી(AIG) અને તેમના ગનમેનનું મૃત્યુ થયું હતું અને વાહનની સુરક્ષામાં સાથે જઇ રહેલ છ પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, આસપાસથી પસાર થઇ રહેલ વાહનોની બારીના કાચ પણ તૂટી ગયા હતા અને નજીકના વૃક્ષોમાં આગ લાગી ગઇ હતી. સ્થાનિક સમાચાર ચેનલના અહેવાલ અનુસાર, પોલીસ ઓફિસર(સીસીપીઓ) તાહિર ખાને કહ્યું કે, મોટરસાયકલ પર સવાર આત્મઘાતી માનવ-બોમ્બે પોલીસના કાફલાને નિશાન બનાવ્યો હતો. પાકિસ્તાનના પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ પેશાવરમાં થયેલ હુમલાને વખોડતાં શહીદ પોલીસ કર્મચારીઓને સલામ કરી હતી અને કહ્યું હતું કે, આતંકવાદીઓની કાયરતાપૂર્ણ કાર્યવાહી કાયદાકીય એજન્સિઓ અને દેશને ડરાવી નહીં શકે.