કેનેડાની મસ્જિદમાં હુમલો, ગોળીબારમાં 5 લોકોનું મૃત્યુ
હુમલો થયો ત્યારે મસ્જિદમાં લગભગ 40 લોકો હાજર હતા. ક્યૂબિક સિટી ઇસ્લામિક કલ્ચર સેન્ટરમાં થયેલા હુમલાથી આસપાસના લોકો ડરી ગયા હતા.
કેનેડાના ક્યૂબિક શહેરમાં એક મસ્જિદમાં થયેલા ગોળીબારમાં પાંચ લોકોનું મૃત્યુ થયું છે. હુમલાખોરે રવિવારે સાંજની નમાજના સમયે ગોળીબાર કર્યો હતો, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. બે સંદિગ્ધ હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પણ લોકોના મૃત્યુના ખબરની પુષ્ટિ કરી છે. આ મસ્જિદને આગળ પણ ઘણી વાર નિશાન બનાવવામાં આવી છે.
ઘટના સમયે મસ્જિદમાં 40 લોકો હાજર હતા
ન્યૂઝ એજન્સિ રૉયટર્સે પોતાના શરૂઆતના અહેવાલમાં જણાવ્યું કે, આ હુમલો થયો ત્યારે મસ્જિદમાં લગભગ 40 લોકો હાજર હતા. ક્યૂબિક સિટી ઇસ્લામિક કલ્ચર સેન્ટરમાં થયેલા હુમલાને કારણે આસપાસના લોકો પણ ડરી ગયા હતા, મસ્જિદના અધ્યક્ષ મોહમ્મદ યંગુઇએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, 'આવું કેમ થઇ રહ્યું છે? આ એક ખૂબ જ દુઃખદ અને ક્રૂરતાભર્યું પગલું હતું.' આ પહેલાં જૂન 2016માં કોઇએ ઇસ્લામિક સેન્ટરના ગેટ પર ડુક્કરનું માથું કાપીને મૂકી દીધું હતું, જેને કારણે ખૂબ ઉહાપોહ પણ થયો હતો.
ઇસ્લામોફોબિયાની ઘટનાઓ વધી રહી છે
ઉપલબ્ધ જાણકારી અનુસાર આ ઘટના સમયે મસ્જિદના અધ્યક્ષ યંગુઇ અંદર નહોતા. હુમલો થયા બાદ તુરંત લોકોએ તેમને ફોન કરી આ અંગે જાણકારી આપી હતી. આ હુમલામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા એનો સ્પષ્ટ આંકડો હજુ સામે આવ્યો નથી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલગ-અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. છેલ્લા થોડા વર્ષોમાં ક્યૂબિકમાં ઇસ્લામોફોબિયાની ઘટનાઓ વધી છે. મુસ્લિમોના માસ્ક પહેરવા પર પ્રતિબંધ લગાવવા અંગે પણ ઘણા વાદ-વિવાદ થયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં ક્યૂબિકના પાડોશી પ્રાંત ઑન્ટારિયોમાં એક મસ્જિદમાં આગ ચાંપી દેવામાં આવી હતી. જેના એક દિવસ પહેલા હથિયારોથી સજ્જ હુમલાખોરોએ મસ્જિદ પર ગોળીબાર કર્યો હતો.
અહીં વાંચો - કાલ પેન : મુસીબતને અવસરમાં ફેરવતો ગુજરાતી