પરમાણુ હુમલાની ધમકી આપતા ઇમરાન ખાન પાસે બિલ ચૂકવવાના પૈસા નથી
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન ગુસ્સે છે. પાકિસ્તાને ભારતના આંતરિક મામલામાં દબાણ લાવવાનો પ્રયાસ કરતાં આંતરરાષ્ટ્રીય મંચ પર પણ આ મુદ્દો ઉઠાવ્યો
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન ગુસ્સે છે. પાકિસ્તાને ભારતના આંતરિક મામલામાં દબાણ લાવવાનો પ્રયાસ કરતાં આંતરરાષ્ટ્રીય મંચ પર પણ આ મુદ્દો ઉઠાવ્યો, પરંતુ તેને ચારે તરફથી નિરાશા મળી છે. પાકિસ્તાન અહીં જ અટક્યું નહીં. પાકિસ્તાની સરકારે ભારતને પરમાણુ હુમલો કરવાની પણ ધમકી આપી હતી. પાકિસ્તાન તરફથી સતત યુદ્ધનો પોકાર આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે પાકિસ્તાન, જે ભારતને યુદ્ધની ધમકી આપે છે તેમના પોતાના જ ખિસ્સા ખાલી છે. પાકિસ્તાન ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે, પરંતુ તેની પાસે સચિવાલયનું વીજળીનું બિલ ચૂકવવા માટે પણ પૈસા નથી.
વીજ બિલ ચૂકવવા માટે પણ પૂરતા પૈસા નથી
પાકિસ્તાની વેબસાઇટ 'એક્સપ્રેસ ન્યૂઝ'ના અહેવાલ મુજબ, પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન પાસે સચિવાલયનું વીજ બિલ ચૂકવવા માટે પણ પૂરતા પૈસા નથી. બિલ નહીં ભરવાને કારણે પાકિસ્તાનના પીએમ સચિવાલયની વીજળી કાપવાની પણ નોબત આવી છે. ઇસ્લામાબાદ ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીએ પીએમ ઓફિસને નોટિસ મોકલી છે. કંપનીએ પીએમ ઓફિસને વીજ બિલ ચૂકવવા કહ્યું છે નહીં તો સચિવાલયની વીજળી કાપવામાં આવશે.
41 લાખ 13 હજાર 992 રૂપિયાનું વીજળીનું બિલ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 41 લાખ 13 હજાર 992 રૂપિયાનું વીજળીનું બિલ પીએમ સચિવાલય પર બાકી છે. આમાં પાછલા મહિનાનું બિલ 35 લાખથી વધુ છે. મળતી માહિતી અનુસાર સચિવાલય દ્વારા વીજળીના બિલની ચુકવણી કરવામાં ઘણી વાર અનિયમિતતા જોવા મળી છે. નોંધપાત્ર વાત એ છે કે, કંગાળીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારી આકાશને સ્પર્શી રહી છે. પાકિસ્તાન પાસે વૈશ્વિક દેવાના બોજા હેઠળ આ સંકટને પહોંચી વળવાની કોઈ યોજના નથી. ઇમરાન ખાનના સત્તામાં આવ્યા પછીથી પાકિસ્તાનની સ્થિતિ કથળી છે.
સરકારી નોકરીમાં ભરતી બંધ
આર્થિક તંગીને કારણે પાકિસ્તાનમાં ગરીબી અને મોંઘવારી ચરમસીમાએ છે. છતાં સરકારે તમામ સરકારી નોકરીઓમાં ભરતી પર રોક લગાવી દીધી છે. તેનાથી સરકારની થોડી બચત થઈ જશે, પણ બેરોજગારી વધી જશે . સાથે જ ઓફિસરોને કહેવાયુ છે કે કોઈ નવી કાર ખરીદશે નહિં. જો અત્યંત જરૂરી જણાય તો તે મોટરસાયકલ ખરીદી શકે છે.
આઈએમએફની લોનની જરૂર
પાકિસ્તાને જ્યારે આઈએમએફથી લોન માંગી હતી ત્યારે તેમણે કહ્યુ કે પહેલા તેઓ કંઈ કરીને બતાવે. પાકિસ્તાની મિડિયા દ્વારા મળેલ જાણકારી અનુસાર પાકિસ્તાનની સરકારે હાલમાં જ કેટલાક પગલાં લીધા છે. જે આઈએમએફની શરતો અનુસાર જ છે. મળેલી માહિતી અનુસાર આઈએમએફએ પાકિસ્તાનને સરકારી ખર્ચમાં કરકસર કરવા કહ્યુ હતુ. પાકિસ્તાનનું દેવું વધતુ જઈ રહ્યુ છે, જેથી તેને આંતરરાષ્ટ્રીય કોષ(આઈએમએફ)થી દેવું લેવાની અત્યંત જરૂર છે.
જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ વધ્યો
પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધારવામાં આવ્યો છે. પાકિસ્તાનના પીએમઓ તરફથી જાહેર સંક્ષિપ્ત અધિસૂચનામાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે જનરલ કમર જાવેદ બાજવાનો વર્તમાન કાર્યકાળ પૂરો થવાની તારીખથી ત્રણ વર્ષ માટે તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. આવી રીતે બાજવા વધુ એક કાર્યકાળ માટે સેનાધ્યક્ષનું પદ સંભાળશે.
આ પણ વાંચો: પાકિસ્તાન ઉપર આવ્યું વધુ એક સંકટ, વિધાનસભામાં માંગી દુવા