USમાં ભારતીયો પર સતત હુમલા, ભારતીય રાજદૂતે વ્યક્ત કરી ચિંતા
અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય નાગરિકો પર થતા હુમલાની ખબરો સામે આવી છે. છેલ્લા 10 દિવસો દરમિયાન અમેરિકાના અલગ-અલગ શહેરોમાં ચાર ભારતીય મૂળના લોકો પર હુમલા થયા છે.
અમેરિકા માં ભારતીય નાગરિકો પર સતત હુમલાઓ થઇ રહ્યાં છે, જે અંગે ભારતે અમેરિકન સરકાર સામે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકામાં ભારતના રાજદૂત નવતેજ સરનાએ અમેરિકન સરકાર સામે આ મુદ્દો મુક્યો છે. તેમણે જણાવ્યું કે, અમેરિકન સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે, તેઓ આ રીતના હુમલાઓને રોકવાનો પૂરો પ્રયત્ન કરશે.
પીડિત પરિવારોને મળે પૂરો ન્યાય - અમેરિકા
અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય નાગરિકો પર થતા હુમલાની ખબરો સામે આવી રહી છે. છેલ્લા 10 દિવસો દરમિયાન અમેરિકાના અલગ-અલગ શહેરોમાં ચાર ભારતીય મૂળના લોકો પર હુમલા થયા છે. આ હુમલાઓમાં 2 નાગરિકોનું મૃત્યુ થયું છે. અમેરિકામાં ભારતના રાજદૂત નવતેજ સરનાએ આ મુદ્દે અમેરિકન સરકાર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, અમેરિકામાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે સરકારે જરૂરી પગલાં લેવા જોઇએ. સાથે જ અત્યાર સુધીના હુમલાઓ માટે દોષીત વ્યક્તિ પર જરૂરી કાર્યવાહીની પણ તેમણે માંગ કરી છે. ભારતીય રાજદૂતે આગળ જણાવ્યું કે, અમેરિકન સરકાર પણ આ મામલાઓને ગંભીરતાથી લેતાં હુમલાઓની તપાસ કરી રહી છે. તેમનું કહેવું છે કે, પીડિત પરિવારોને પૂરો ન્યાય મળશે. સાથે જ સરકાર તરફથી અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.
અહીં વાંચો - અમેરિકામાં ભારતીય શીખ પર થેયલા હુમલા અંગે સુષ્મા સ્વરાજે કર્યું ટ્વીટ
જાતિવાદથી પ્રેરાઇને થયેલ હુમલામાં 2 નાગરિકોનું મૃત્યુ
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં છેલ્લા બે અઠવાડિયા દરમિયાન ત્યાંના ભારતીય નાગરિકો પર 3 હુમલા થયા છે. જાતિવાદથી પ્રેરાઇને થયેલા આ હુમલાઓમાં 2 ભારતીયોનું મૃત્યુ થયું છે. ફેબ્રુઆરી માસમાં અમેરિકાના કેન્સાસ માં એક ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલો શાંત પડે એ પહેલાં જ દક્ષિણ કેરોલિનામાં ભારતીય મૂળના વેપારી હરનિશ પટેલની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ શુક્રવારે વોશિંગ્ટન ના કેન્ટ શહેરમાં એક શીખ નાગરિક પર તેમના ઘરની બહાર જ હુમલો થયો હતો. 39 વર્ષીય દીપ રાય પર ગોળી ચલાવનાર વ્યક્તિએ તેની પર હુમલો કરવાની સાથે જ તેને પોતાના દેશમાંથી બહાર નીકળી જવા કહ્યું હતું.