ભારતીય અધિકારીઓ સરબજીત સિંહને પાકિસ્તાની હોસ્પિટલમાં મળ્યા
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઇડ એકબરુદ્દીને જણાવ્યું કે "ભારતીય અઘિકારીઓ 49 વર્ષના સરબજીત સિંહને મળ્યા હતા." સરબજીત સિંહ પર એક કલાકની રિસેસ દરમિયાન શુક્રવારે બપોરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં સરબજીત ગંભીર રીતે ઘાયલ થઇ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે તે હાલ કોમામા છે, જેના કારણે કોઇ સર્જરી કરવામાં આવી નથી.
આ હુમલો લાહોરની કોટલખપત જેલમાં થયો. સરબજીતને પાક સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. આ હુમલો ત્યારે થયો જ્યારે સરબજીત ભોજન કરીને પોતાના બેરેકમાં પરત ફરી રહ્યો હતો. કેદીઓએ સરબજીતના માથા પર ઇંટથી અનેકવાર પ્રહાર કર્યા, જેમાં તે ઇજાગ્રસ્ત થઇ ગયો અને ત્યાં જ બેભાન થઇ ગયો હતો. હુમલા બાદ તુરત જ જેલ પ્રશાસન સરબજીતને જીન્ના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તુરત આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો. સરબજીત સિંહના માથે ગંભીર ઇજા પહોંચી છે. હોસ્પિટલે તેની હાલત નાજુક હોવાનું જણાવ્યું છે.
સરબજીત સિંહને પાકિસ્તાન શાસિત પંજાબ વિસ્તારમાં 1990માં કરવામાં આવેલા બોમ્બ હુમલા હેઠળ પકડી પાડવામાં આવ્યો હતો. આ હુમલામાં 14 લોકોના મોત થયા હતા. તેને ફાંસીની સજા આપવામાં આવી હતી. તેની દયા અરજી કોર્ટ ોઅને તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. સરબજીત સિંહના પરિવારજનો કહે છે કે તેને ભૂલથી દોષિત ગણાવી દેવામાં આવ્યો છે.