નવાઝ શરીફનું દોઢડહાપણ : ફરી આલાપ્યો કાશ્મીર રાગ
વૉશિંગ્ટન, 28 સપ્ટેમ્બર : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર દોઢ ડહાપણ દર્શાવતા યુએનમાં કાશ્મીર મુદ્દો ઉછાળ્યો છે. યુએનની સામાન્ય સભાને સંબોધતા શરીફે કહ્યું કે કાશ્મીરના લોકોની ઉપેક્ષી ન કરી શકાય. આથી યુએન ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર મુદ્દાને ઉકાલવા નક્કર પગલાં ભરે.
પાકિસ્તાનના વડાપ્રધાન શરીફનું કહેવું છે કે જમ્મુ કાશ્મીર મુદ્દો 1948થી સુરક્ષા પરિષદમાં પેન્ડિંગ છે. સાત દસકા છતા આ મુદ્દો આજે પણ વણઉકલ્યો છે. આમ છતાં શરીફે તાજેતરમાં પાકિસ્તાની લશ્કર દ્વારા ભારતીય સરહદ પર આવેલી ચોકીઓ પર કરવામાં આવેલા હુમલા અને સીઝ ફાયરના ઉલ્લંઘન વિશે બોલવાનું ટાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રવિવારે વડાપ્રધાન મનમોહન સિંઘ અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે મુલાકાત થનાર છે. ત્યારે શરીફે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્વાન કર્યું છે કે તેઓ સુરક્ષા પરિષદના પ્રસ્તાવો પ્રમાણે કાશ્મિરીઓને શાંતિપૂર્ણ રીતે પોતાના ભવિષ્યનો નિર્ણય કરી શકે તે માટેની તક તેમને આપવી જોઈએ.