જો મોદી બનશે પીએમ તો મળી શકે છે વિઝાઃ યુએસ રિપોર્ટ
વોશિંગટન, 1 એપ્રિલઃ નવ વર્ષના પ્રતિબંધ બાદ નરેન્દ્ર મોદી પરનો યુએસ વિઝા બેન જાતે જ હટી જશે અને તેઓ જો વડાપ્રધાન બનશે તો તેમને રાજકીય છૂટછાટ મળશે. તેમ અમેરિકાની એક સંસદીય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
કોંગ્રેશિયલ રિસર્ચ સર્વિસ(સીઆરએસ)એ અમેરિકન સાંસદોને લખેલા પત્રમાં કહ્યું કે, મોદીને તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન પદના ઉમેદવારોના પ્રમુખ દાવેદારોમાના એક માને છે. જો નરેન્દ્ર મોદી જો ભારતના વડાપ્રધાન બને છે તો, તેઓ પોતાના પ્રવાસના કોઇપણ ઉદ્દેશ્યને લઇને રાષ્ટ્રના પ્રમુખ તરીકે એ-1(રાજકીય) વિઝા મેળવવા માટે જાતે જ યોગ્ય થઇ જશે. નોંધનીય છે કે, 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોના કારણે અમેરિકાએ 2005માં નરેન્દ્ર મોદીને વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
સાત પૃષ્ઠની રિપોર્ટ ‘વિઝા પોલિસીઃ ધ કેસ ઓફ નરેન્દ્ર મોદી'ને યુએસ કોંગ્રેસની નિષ્પક્ષ શાખા સીઆરએસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. સીઆરએસએ આ રિપોર્ટ કેટલાક એ કાયદા રચિયતાઓ કે જેઓ મોદીને યુએસ વિઝા આપવા માટે વિરોધ કરી રહ્યાં હતા તેમની વિનંતી બાદ તૈયાર કરી છે. સીઆરએસ દ્વારા તૈયાર કરવામાં આવેલી રિપોર્ટ અમેરિકન સરકાર કે પછી કોંગ્રેસ માટે બાધ્યકારી નથી. કોંગ્રેસ રિપબ્લિકનના જો પિટ્સ અને ડમેક્રેટ કેથ ઇલિસન દ્વારા મોદી ભારતના વડાપ્રધાન બને તો યુએસ તેમને વિઝા આપશે કે નહીં એ સંબંધમાં પાંચ પ્રશ્નો પૂછ્યા હતા.
લોમેકર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો
લો મેકરે પૂછ્યુ હતું કે શું નરેન્દ્ર મોદી વિઝા માટે એપ્લાય કરે તો કેવા પ્રકારની પ્રોસેસ રહેશે? મોદી ભારતના વડાપ્રધાન બને તો તેઓ યુએસ વિઝા મેળવવા માટે હકદાર બને છે? શું અમેરિકા તેમને રાજકીય વિઝા આપશે? મોદીને વિઝા આપતી વેળા ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એક્ટ હસ્તક્ષેપ કરશે કે નહીં?
31 માર્ચે જાહેર કરાઇ રિપોર્ટ
આ રિપોર્ટ 18 માર્ચે સબમિટ કરવામાં આવી હતી અને 31 માર્ચે જાહેર કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં મોદીને મળેલી ક્લિનચિટનો પણ ઉલ્લેખ કરવામાં આવી છે.
મોદીને ક્લિનચિટ
ડિસેમ્બર 2010માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઇટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2002માં રાજ્યમાં થયેલા રમખાણોમાં ક્લિનચિટ આપી હતી. અને ગુજરાત હાઇ કોર્ટના મંતવ્યને પણ આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રના પ્રમુખ તરીકે વિઝા મેળવી શકશે
રિપોર્ટ અનુસાર મોદી વડાપ્રધાન તરીકે પોતાના પ્રવાસના કોઇપણ ઉદ્દેશ્યને એ-1(રાજકીય) વિઝા મેળવવા માટે જાતે જ યોગ્ય થઇ જશે. જો માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોદીને વિઝા નહીં આપવા અંગે કોઇ કાર્યવાહી કરવી હોય તો કરી શકે છે.