Syria Mosque Blast : સીરિયામાં જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં વિસ્ફોટ, 8 લોકોના મોત
સીરિયાના હોમ્સ શહેરમાં ૨૬ ડિસેમ્બરે જુમ્માની નમાઝ સમયે એક મસ્જિદમાં ભયાનક વિસ્ફોટ થયો છે. સરકારી સમાચાર એજન્સી સાના (SANA) અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા ૮ લોકોના મોત થયા અને ૧૮ ઘાયલ થયા છે.
આ ધમાકો વાદી અલ-દહાબ વિસ્તારની ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ મસ્જિદમાં થયો હતો, જે લઘુમતી અલાવી સમુદાયનો બહુમતી વિસ્તાર છે.

વિસ્ફોટ બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા. ગૃહ મંત્રાલયે આને આતંકવાદી વિસ્ફોટ ગણાવ્યો છે. મંત્રાલયે કહ્યું કે, નમાઝ સમયે મસ્જિદને ઇરાદાપૂર્વક નિશાન બનાવાઈ હતી. એએફપી (AFP) મુજબ, પ્રાથમિક તપાસમાં વિસ્ફોટકો પૂર્વનિયોજિત રીતે મૂકાયા હોવાનું જણાયું છે.
ધમાકા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરાઈ છે. સ્થાનિક મીડિયા દોષિતોની શોધખોળ કરી રહ્યું છે, જો કે કોઈએ હજી તેની જવાબદારી લીધી નથી. સીરિયાના વિદેશ મંત્રાલયે આ ઘાતક હુમલાની સખત નિંદા કરી છે.
મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ કાયરતાપૂર્ણ કૃત્ય માનવીય અને નૈતિક મૂલ્યો પર ખુલ્લો હુમલો છે અને તેનો ઉદ્દેશ્ય સીરિયાને અસ્થિર કરવાનો તથા સીરિયાઈ જનતાની ધીરજ અને એકતાને નબળી પાડવાનો છે.
સરકારે જણાવ્યું કે દુશ્મનો ભય સર્જવા માગે છે, પણ સીરિયાઈ નાગરિકો આવી કાવતરાં સામે ઝૂકશે નહીં. નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષમાં ધાર્મિક સ્થળ પર આ બીજો મોટો હુમલો છે. ગત જૂનમાં દમિશ્કના ચર્ચમાં આત્મઘાતી હુમલામાં ૨૫ લોકો માર્યા ગયા હતા.












Click it and Unblock the Notifications
