નવાઝ શરીફ ભારતની પોતાની મુલાકાત અંગે નાખુશ
ઇસ્લામાબાદ, 6 જૂન : એક તરફ ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાર્કના બધા જ અગ્રણી રાજકારણીઓને નિમંત્રણ આપવા માટે વાહવાહી થઇ રહી છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાનથી જે સમાચાર આવ્યા છે તે ભારત માટે નિરાશાજનક છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના સિલસિલામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની યાત્રા જે રીતે જોવામાં આવી રહી છે તેને લઇને નવાઝ શરીખ ખાસ ખુશ જોવા મળી રહ્યા નથી.
પાકિસ્તાનની સત્તારૂઢ પીએમએલ-એનના એક વરિષ્ઠ સભ્યએ પાકિસ્તાનના નેશનલ ડેઇલી ડૉન ન્યુઝને જણાવ્યું છે કે બંને વડાપ્રધાનનોની પરસ્પરની બેઠક બાદ જ્યારે તેમની સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી નહીં ત્યારે નવાઝ શરીફને પોતાને ઓછા આંકવામાં આવ્યા હોય તેવો અહેસાસ થયો હતો.

સમાચાર પત્રના જણાવ્યા અનુસાર આ ઘટના ઉપરાંત નવાઝ શરીફનું પ્રતિનિધિમંડળ એક સંયુક્ત નિવેદનની આશા રાખી રહ્યું હતું. આવું કોઇ નિવેદન રજૂ કરવામાં આવ્યું નહીં. ઉલટાનું ભારતે એકતરફી નિવેદન જાહેર કર્યું હતું. જેમાં પાકિસ્તાનનું વલણ શું છે તે અંગેની કોઇ પણ વિગતો આપવામાં આવી ન હતી.
નવાઝ શરીફની પાર્ટીના નેતાએ સમાચાર પત્રને એમ પણ જણાવ્યું કે 'શરીફ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના સંદર્ભમાં પોતાની યાત્રા દરમિયાન ભારતમાં ભેટ મુલાકાતની રીત રસમથી ખાસ ખુશ નથી.' પીએમએલ-એનના એક વરિષ્ઠ નેતાએ એમ પણ જણાવ્યું કે શરીફની ભારત મુલાકાતને ખાસ મહત્વ આપવામાં આવ્યું ન હતું. તેમની ઉપસ્થિતિને યોગ્ય રીતે સ્વીકાર કરવામાં આવી ન હતી.
તેમણે દાવો કર્યો કે ભારતની નિરાશાજનક અને અપુરતી પ્રેસ રીલિઝને કારણે શરીફે પોતાની પત્રકાર પરિષદ યોજવા માટે મજબૂર કર્યા હતા. આ પરિષદમાં તેમણે અત્યંત સાવધાનીપૂર્વક પોતાનું નિવેદન વાંચ્યું જેથી મુલાકાતમાં જે પરિણામ પ્રાપ્ત થયું છે તે વ્યર્થ ના થાય.












Click it and Unblock the Notifications
