અબોર્શન કેસ : માત્ર આયર્લેન્ડ સરકાર સવિતાને ન્યાય આપી શકે
આ મુદ્દે આયર્લેન્ડના સામાજિક કાર્યકરો આગળ આવ્યા છે અને લોકોને સમજાવી રહ્યા છે કે આ મૃત્યુ માટે ધર્મ નહીં, પણ ડૉક્ટર્સ જવાબદાર છે. મહત્વની બાબત એ છે કે આ મુદ્દે ભારતે આયર્લેન્ડ સરકાર પર જ નિર્ભર રહેવું પડે એમ છે. કારણ કે આંતરરાષ્ટ્રીય કાયદાને પગલે ભારત સ્વતંત્ર તપાસ કરાવી શકે એમ નથી.
હવે એવી પણ હકીકતો બહાર આવી રહી છે કે ડૉક્ટર્સે સવિતાના કુટુંબીજનોને એમ કહીને એબોર્શન કરવાની ના કહી હતી કે તે કેથલિક છે અને તેમના ધર્મમાં એબોર્શન કરાવવું એ ગુનો છે. આ ઉપરાંત તેમનો કાયદો પણ આ માટે મંજૂરી આપતો નથી.
આ મુદ્દે લોકોએ કેથોલિક ઇસાઇઓ સામે પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે. વ્યાવસાયે ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બાદ આયર્લેન્ડમાં એબોર્શનના કાયદાને બદલવાની માંગ પણ વધારે ઉગ્ર બની રહી છે. લોકોએ ગુરુવારે આ માંગ સાથે સંસદભવનની બહાર પ્રદર્શનો કર્યા હતા.
બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયે પણ પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. જે અંતર્ગત ડબલિનમાં ભારતીય રાજદૂત શુક્રવારે આયર્લેન્ડના અધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત કરશે. ભારત આ કેસમાં સ્વતંત્ર તપાસ કરાવી શકે એમ નથી. આ કેસની તપાસ આયર્લેન્ડના અધિકારીઓ જ કરશે. શક્ય છે કે ભારતની ખાસ રજૂઆત બાદ આયર્લેન્ડની તપાસ ટીમમાં એક કે બે ભારતીય સભ્યોને સામેલ કરવામાં આવે.