
જો હુમલો થાય તો ભારત સાથે લડવા તૈયાર છે પાકિસ્તાન : નવા આર્મી ચીફ અસીમ મુનીર
મુર્ખાઓની દુનિયા ન હોય તે પાકિસ્તાનમાં મળી જ રહે, આ કહેવત સાચી કરતું હોય તેવું નિવેદન પાકિસ્તાનના નવા આર્મી ચીફ અસીમ મુનીર દ્વારા આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના નવા નિયુક્ત થયેલા આર્મી ચીફ પણ પૂર્વ જનરલના પગલે ચાલી રહ્યા છે અને ભારતને હવાઇ ધમકીઓ આપી રહ્યા છે.
શનિવારના રોજ પોતાના પ્રથમ એલઓસી પ્રવાસ પર, જનરલ અસીમ મુનીરે બડાઈ હાંકી હતી કે, જો પાકિસ્તાન પર હુમલો કરવામાં આવશે, તો તેઓ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર છે. આ સાથે મુનીરે જણાવ્યું હતું કે, તાજેતરમાં ગિલગિટ બાલ્ટિસ્તાન અને જમ્મુ-કાશ્મીર અંગે ભારતીય નેતૃત્વ તરફથી બેજવાબદાર નિવેદનો આવ્યા છે.
આ સાથે જનરલ મુનીરે હવાઇ ધમકી આપી હતી કે, પાકિસ્તાનની સશસ્ત્ર દળો તેમની જમીનના એક-એક ઈંચની રક્ષા કરશે. જો અમારા સામે યુદ્ધ જાહેર કરવામાં આવે, તો અમે લડવા તૈયાર છીએ. મુનીરે એલઓસી પર પાકિસ્તાની સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જનરલ મુનીર 24 નવેમ્બરના રોજ જનરલ કમર જાવેદ બાજવાના સ્થાને પદ સંભાળશે. કમર જાવેદ બાજવા ત્રણ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા છે.
નવેમ્બરમાં નિવૃત્ત થઇ હતા કમર બાજવા
જનરલ મુનીર 24 નવેમ્બરના રોજ જનરલ કમર જાવેદ બાજવાનું અનુગામી બન્યા હતા, જેઓ તખ્તાપલટગ્રસ્ત દેશમાં સતત ત્રણ વર્ષ સેના પ્રમુખ તરીકે સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા હતા. પાકિસ્તાનમાં બાજવા સૈન્ય સુરક્ષા અને વિદેશ નીતિની બાબતોમાં નોંધપાત્ર શક્તિનો ઉપયોગ કરે છે. સરહદી વિસ્તારોની મુલાકાત દરમિયાન, આર્મી ચીફ જનરલ મુનીરે સેના પાસેથી એલઓસીની લેટેસ્ટ સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમણે સેનાના ઉચ્ચ મનોબળ, વ્યાવસાયિક યોગ્યતા અને લડાયક તૈયારીની પ્રશંસા કરતા અધિકારીઓ અને સૈનિકો સાથે વાતચીત કરી હતી. આ સાથે સેનાને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
જવાબ આપવા તૈયાર છે પાકિસ્તાન
આર્મી ચીફ જનરલ મુનીરે જમ્મુ-કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન અંગે ભારતીય અધિકારીઓના તાજેતરના કેટલાક નિવેદનો વિશે પણ વાત કરી હતી. આર્મી ચીફ જનરલ મુનીરે જણાવ્યું હતું કે, જો ભારત કોઈપણ પ્રકારની ભૂલ કરે છે, તો પાકિસ્તાન જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.
આર્મી ચીફ જનરલ મુનીરે જણાવ્યું હતું કે, ભારતને તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આ પહેલા, નિયંત્રણ રેખા પર પહોંચવા પર, આર્મી ચીફનું કોર્પ્સ કમાન્ડર રાવલપિંડી, લેફ્ટનન્ટ જનરલ શાહિદ ઈમ્તિયાઝે સ્વાગત કર્યું હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન તરફથી થતા સીમાપાર આતંકવાદને લઈને તણાવપૂર્ણ છે. ભારતે પાકિસ્તાનને જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ દેશનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો અને રહેશે.