હાથના કર્યા હૈયે વાગ્યા, આતંકને પોષતા પાકિસ્તાનનાં મંત્રીનું જ અપહરણ કર્યુ!
આતંકીઓનું પસંદગીનું સ્થાન પાકિસ્તાન હવે ખુદ ખોદેલા કુવામાં પડી રહ્યું છે. કેટલાક દાયકાઓથી આતંકવાદીઓને પોષતું પાકિસ્તાન હવે ખૂદ પરિણામો ભોગવવા મજબૂર છે.
આતંકીઓનું પસંદગીનું સ્થાન પાકિસ્તાન હવે ખુદ ખોદેલા કુવામાં પડી રહ્યું છે. કેટલાક દાયકાઓથી આતંકવાદીઓને પોષતું પાકિસ્તાન હવે ખૂદ પરિણામો ભોગવવા મજબૂર છે અને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓ દ્વારા એક મંત્રીનું જ અપહરણ કરી લીધુ છે. રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓએ કેટલાક પ્રવાસીઓનું અપહરણ પણ કર્યું છે અને શાહબાઝ શરીફ સરકારને આતંકવાદીઓથી છોડાવવામાં પરસેવો છૂટી રહ્યો છે. રિપોર્ટ અનુસાર આ આતંકી ઘટનાને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના આતંકીઓએ અંજામ આપ્યો છે.
પાકિસ્તાનનાં મંત્રીનું અપહરણ
આતંકવાદીઓએ જેલમાં બંધ સાથીઓને મુક્ત કરાવવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાને ગિલગિટ-બાલ્ટિસ્તાન સાથે જોડતા મુખ્ય માર્ગ પરથી એક વરિષ્ઠ મંત્રી અને ઘણા પ્રવાસીઓનું અપહરણ કર્યું છે. આતંકવાદીઓએ એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં વરિષ્ઠ મંત્રીની સાથે પ્રવાસીઓ પણ કેદમાં જોવા મળે છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, પ્રથમ રાઉન્ડની વાતચીત બાદ આતંકવાદીઓએ જેલમાં બંધ તમામ લોકોનો વીડિયો મોકલ્યો હતો, જેથી તમામ લોકો જીવિત હોવાની પુષ્ટિ કરી શકાય. રિપોર્ટ અનુસાર જે પ્રવાસીઓનું અપહરણ કરવામાં આવ્યું છે તેમાં ઘણા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
મંત્રી અબેદુલ્લા બેગનું અપહરણ
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, જે વીડિયો જાહેર કરવામાં આવ્યો છે તેમાં મંત્રી અબૈદુલ્લા બેગને જોઈ શકાય છે, જેમાં તે કહેતા સાંભળી શકાય છે કે તે ઈસ્લામાબાદથી ગિલગિટ જઈ રહ્યા હતા તે સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણની ઘટના નંગા પરબત ક્ષેત્રમાં બની છે અને આ એ વિસ્તાર છે જ્યાં ભૂતકાળમાં આતંકવાદીઓએ ઘણા વિદેશી પ્રવાસીઓની હત્યા કરી છે. હવે પાકિસ્તાન સરકાર ખૂબ જ તણાવમાં છે અને આતંકવાદીઓ સાથે વાતચીત ચાલી કરી છે.
આતંકવાદીઓની આ માંગણી છે
આતંકવાદીઓએ પાકિસ્તાન સરકાર પાસે તેમના સાથીઓને મુક્ત કરવાની માંગ કરી છે, પરંતુ પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓની માંગણીઓ સ્વીકારવી સરકાર માટે આસાન નથી. આ સિવાય આતંકવાદીઓએ સરકાર સમક્ષ જે બીજી માંગણી મૂકી છે તેમાં મહિલાઓના રમવા પર પ્રતિબંધ મૂકવા અને ઇસ્લામિક કાયદાના અમલની માંગણી કરવામાં આવી છે. તેમ કરવામાં નિષ્ફળતા તમામ લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે પાકિસ્તાન સરકાર આતંકવાદીઓની માંગણીઓ સ્વીકારશે કે નહીં.
કેવી રીતે અપહરણ કરાયુ?
ડોન અખબારે સ્થાનિક નાગરિકો અને સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, ગિલગિટ-બાલ્ટિસ્તાનના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કમાન્ડર હબીબુર રહેમાન, જેના પર નંગા પરબતમાં 10 વિદેશીઓની હત્યા કરવાનો આરોપ છે તેને શુક્રવારે 4 વાગ્યે ડાયમેરમાં માર્ગ બ્લોક કરી અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો.