ઇંગ્લેન્ડ સામે ભારતે દાવ જાહેર કર્યો : 8 વિકેટે 521 રન

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમેચમાં ભારતે પોતાનો પ્રથમ દાવ જાહેર કર્યો છે. ઇંગ્લેન્ડની ટીમ પર દબાણ ઉભું કરવા માટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 8 વિકેટ, 521 રને દાવ જાહેર કર્યો છે. આ સાથે જ ઇંગ્લેન્ડ સામે 522 રન બનાવવાનો મોટો પડકાર છે. ભારતના સ્કોરમાં ગુજરાતના ખેલાડી ચેતેશ્વર પૂજારાના અણનમ 206 રન તથા યુવરાજ સિંહના 74 રનનો સિંહફાળો રહેલો છે.
અપડેટ : 12:50
ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા મોટેરા સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ વિરુધ્ધ રમવામાં આવી રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત વતી રમતા ગુજરાતી ક્રિકેટ ખેલાડી ચેતેશ્વર પૂરાજાએ સદી નોંધાવી હતી અને તે પછી તેમણે 150 રન પણ પૂરા કરી લીધાં છે. ચેતેશ્વર પૂજારાની ટેસ્ટ કરિયરની આ બીજી સદી છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ચેતેશ્વરે 98 રન કર્યા હતા. બીજા દિવસની સવારે દાવ આગળ રમતા તેમણે સદી પૂરી કરી હતી અને લંચ પછી 150 રન પૂર્ણ કર્યા હતાં. બીજી બાજું કૅંસર જેવી ભયાનક બીમારીમાંથી ઉગર્યા બાદ પહેલી વાર ટેસ્ટ મેચ રમતાં યુવરાજ સિંહ 74 રને આઉટ થઈ ગયાં. તેમની પાસેથી સદીની આશા સેવાઈ રહી હતી, પરંતુ તેઓ 74 રને આઉટ થઈ ગયાં.
અપડેટ : 11:00
પૂજારાએ પોતાની સદી નોંધાવ્યા બાદ ભારતીય ખેલાડી અને લગભગ એક વર્ષ બાદ ટેસ્ટ મેચ રમી રહેલા યુવરાજ સિંહે પણ રનોની આતશબાજી કરી દર્શકોને ખુશ કરી દીધા હતા. પોતાના ફૂલ ફોર્મમાં રમી રહેલા યુવરાજે સવારમાં જ અર્ધસદી ફટકારી ભારતના સ્કોરને મહાસ્કોર બનાવવામાં યોગદાન આપ્યું હતું. સહેવાગ, પૂજારાએ નોંધાવેલી સદી બાદ ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા હતાં કે યુવરાજ પણ ઇંગ્લેન્ડ સામે સદી ફટકારે, પરંતુ તેઓ આઉટ થઈ ગયાં.
ઉલ્લેખનીય છે કે ગુરુવાર 15 નવેમ્બર, 2012ના રોજ શરૂ થયેલી ટેસ્ટમેચમાં ગઇકાલે સહેવાગે પણ ઇંગ્લેન્ડ સામે શતક નોંધાવ્યું હતું. તેણે 117 રન નોંધાવ્યા હતા.
ચેતેશ્વર પૂજારાએ 190 બોલમાં 13 ચોગ્ગાની સાથે સદી બનાવી હતી. આ પહેલા પૂજારાએ ન્યુઝીલેન્ડ સામે શતક બનાવ્યું હતું.
ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે ભારતે ઇંગ્લેન્ડની વિરુધ્ધ પહેલા દાવમાં ચાર વિકેટે 323 રન બનાવ્યા હતા. પોતાની 99મી ટેસ્ટ મેચ રમી રહેલા સહેવાગે 117 બોલમાં 117 રન બનાવ્યા હતા. આ ટેમની 23મી ટેસ્ટ સદી છે.
ઇંગ્લેન્ડ તરફથી ચારે વિકેટ સ્વાને લીધી હતી. તેમણે ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલીને બોલ્ડ કર્યા હતા. જ્યારે સચિન તેંદુલકરને કેચ આઉટ કર્યા હતા. તેમણે 85 રન આપી ચાર વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચેતેશ્વર પૂજારાની સગાઇ થઇ હતી. ત્યાર બાદ તેમનું ફોર્મ જોઇને તેમના ચાહકો મોટી સંખ્યામાં સ્ટેડિયમ પર તેમને જોવા માટે આવ્યા છે. અનેક ચાહકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.












Click it and Unblock the Notifications
