IPL 2025 પહેલાં જ રાજસ્થાન રોયલ્સમાં મોટા ફેરફાર, આ ખેલાડીને કેપ્ટન બનાવ્યો
IPL 2025 ની શરુઆત પહેલા રાજસ્થાન રોયલ્સે મોટો નિર્ણય લીધો છે. શરુઆતની ત્રણ મેચ માટે ટીમે રિયાન પરાગને કેપ્ટન બનાવ્યો છે.
આ નિર્ણય સંજુ સેમસનની ઈજાને લઈને આવ્યો છે. તે સંપૂર્ણપણે ફિટ થવા સુધી વિરામ લેવાના નિર્ણય પછી લેવાયો છે. જો કે, સેમસન બેટિંગ કરી શકશે પરંતુ તે હાલમાં વિકેટકીપર તરીકે મેદાન પર નહીં ઉતરે.

રાજસ્થાન રોયલ્સે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી. ટીમ મીટિંગ દરમિયાન સંજુ સેમસને રિયાન પરાગને કેપ્ટન તરીકે જાહેર કર્યો. રાજસ્થાન રોયલ્સે સ્પષ્ટ કર્યું કે, સંજુ અમારી ટીમના પ્રથમ ત્રણ મેચમાં બેટ્સમેન તરીકે રમશે અને રિયાન આ મેચોમાં ટીમનું નેતૃત્વ કરશે.
સંજુ સેમસન થોડા સમય પહેલા તેની આંગળીની સર્જરીમાંથી સાજો થયો છે. તેણે બેંગલુરુના સેન્ટર ઑફ એક્સલન્સમાં રિહેબ પૂરી કરી અને હાલ તે ટીમ સાથે જોડાયો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ T20 શ્રેણી દરમિયાન જોફ્રા આર્ચરની એક બાઉન્સર વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો.
સેમસનની ગેરહાજરીમાં ધ્રુવ જુરેલ પ્રથમ ત્રણ મેચમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે. રાજસ્થાન રોયલ્સ 23 માર્ચે હૈદરાબાદ વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે.
2019થી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા રિયાન પરાગ માટે કેપ્ટન તરીકેનું આ પ્રથમ તક હશે. શરૂઆતમાં પરાગને તેના બેટિંગ પ્રદર્શન માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2024 સિઝનમાં, તેણે 16 મેચમાં 149.3ની સ્ટ્રાઇક રેટ સાથે 573 રન બનાવ્યા હતા, જેનાથી તે હિરો બનીને સામે આવ્યો.
2008માં એકમાત્ર IPL ટાઇટલ જીતનાર આ ફ્રેન્ચાઇઝી આગામી સીઝન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ચાહકો આતુર છે કે રિયન પરાગનું નેતૃત્વ કેવું રહેશે અને શું તે રાજસ્થાન રોયલ્સને ફરી સફળતા અપાવી શકે? IPL 2025 ની શરુઆત પહેલા રાજસ્થાન રોયલ્સનો આ મોટો નિર્ણય કેટલો અસરકારક સાબિત થશે તે જોવાનું રહેશે.












Click it and Unblock the Notifications
