આંખમાં આંસુ સાથે મેદાન પર પરત ફર્યો રિંકુ સિંહ! પિતાના નિધનના 24 કલાકમાં પરિવાર છોડી દેશ માટે પહોંચ્યો કોલકાતા
Rinku Singh: ભારતીય ક્રિકેટના ઊભરતા સિતારા રિંકુ સિંહે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેના માટે દેશ અને તિરંગો સર્વોપરી છે. શુક્રવારે (27 ફેબ્રુઆરી) સવારે પોતાના પિતા ખાનચંદ સિંહને ગુમાવ્યા અને બપોરે તેમના અંતિમ સંસ્કાર કર્યાના માત્ર 24 કલાકની અંદર, રિંકુ શનિવારે કોલકાતામાં ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે.

T20 વર્લ્ડ કપ 2026ના સૌથી મહત્વના મુકાબલા પહેલા રિંકુનું આ પગલું કરોડો ચાહકોની આંખોમાં આંસુ અને છાતીમાં ગર્વ ભરી દે તેવું છે. રિંકુ સિંહના પિતા લાંબા સમયથી કેન્સર (ચોથા સ્ટેજ) સામે ઝઝૂમી રહ્યા હતા અને શુક્રવારે સવારે તેમણે ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
પિતાને વિદાય આપીને પરત ફર્યો
રિંકુએ પોતાના વતન અલીગઢમાં પિતાની અર્થીને કાંધ આપી અને અંતિમ સંસ્કારની વિધિઓ પૂર્ણ કરી હતી. બીસીસીઆઈ (BCCI) સચિવ દેવાજીત સૈકિયાએ પુષ્ટિ કરી છે કે રિંકુ શનિવારે કોલકાતા પહોંચી ગયો છે અને રવિવારે (1 માર્ચ) વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી 'વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ'માં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.
કોલકાતા સાથે જોડાયેલી લાગણીઓ
આવતીકાલની મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાવાની છે. આ એ જ મેદાન છે જ્યાં રિંકુ IPLમાં KKR માટે રમીને સુપરસ્ટાર બન્યો હતો. હવે આ જ મેદાન પર તે પોતાના કરિયરની સૌથી મુશ્કેલ ઘડીમાં ટીમ ઈન્ડિયા માટે મેદાનમાં ઉતરી શકે છે. ચાહકોનું માનવું છે કે રિંકુ એક યાદગાર ઈનિંગ રમીને તેના સ્વર્ગસ્થ પિતાને શ્રદ્ધાંજલિ આપવા માંગશે.
ભારત માટે હવે અંતિમ તક
ભારત માટે આ મુકાબલો સેમીફાઈનલમાં પહોંચવાનો છેલ્લો રસ્તો છે. રિંકુના પુનરાગમનથી ટીમના મધ્યમ ક્રમને મજબૂતી મળી છે. જોકે તે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી મોટી ઈનિંગ રમી શક્યો નથી, પરંતુ તેની 'ફિનિશર' તરીકેની ક્ષમતા પર કેપ્ટન સૂર્યા અને કોચને પૂરો ભરોસો છે. જોકે પ્લેઈંગ ઈલેવન અંગે તો ટોસ સમયે જ ખબર પડશે.












Click it and Unblock the Notifications
