ટીમ ઈન્ડિયા ક્યારે રમી હતી પહેલી વન ડે, કેવું હતું પ્રદર્શન?
ભારતના વન ડે ક્રિકેટની શરૂઆત 1974માં ઈંગ્લેન્ડ પ્રવાસથી થઈ હતી. તે સમયે ટેસ્ટ ક્રિકેટનો ક્રેઝ હતો. ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ વન ડે ક્રિકેટમાં ફિટ નહોતા થયા.
ભારતના વન ડે ક્રિકેટની શરૂઆત 1974માં ઈંગ્લેન્ડ પ્રવાસથી થઈ હતી. તે સમયે ટેસ્ટ ક્રિકેટનો ક્રેઝ હતો. ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ વન ડે ક્રિકેટમાં ફિટ નહોતા થયા. આખી ટીમ સ્પિનરો પર નિર્ભર હતી. એ સમયે ભારતની બોલિંગ ખૂબ નબળી હતી. ભારતની પહેલી વન ડે મેચ ખૂબ જ ખરાબ રહી હતી. ભંગાર બોલિંગને કારણે આપણે પહેલી મેચ હારી ગયા હતા.
13 જુલાઈ, 1974ના રોજ રમ્યા હતા પહેલી વન ડે
ટીમ ઈન્ડિયાએ 1971માં વિન્ડિઝ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીતીને હોબાળો મચાવી દીધો હતો. ભારતીય ટીમના કેપ્ટન અજીત વાડેકરના ઠેર ઠેરથી વખાણ કરી રહ્યા હતા. આ જ વાડેકરની કેપ્ટનશિફમાં ટીમ ઈન્ડિયા 1974માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન ભારતને 2 વનડે અને 3 ટેસ્ટ રમવાની હતી. પ્રેક્ટિસ મેચ બાદ આ ટુર્નામેન્ટની શરૂઆત વન ડેથી થઈ. 13 જુલાઈ, 1974ના રોજ લીડ્ઝમાં ભારતે ઈંગ્લેન્ડ સામે પહેલી વન ડે રમી. ભારત માટે આ પહેલી વન ડે હતી, જ્યારે ઈંગ્લેન્ડ પાસે આ ફોર્મેટનો લાંબો અનુભવ હતો. કેપ્ટન વાડેકર સહિત ટીમના તમામ 11 ખેલાડીઓનો આ વન ડેમાં ડેબ્યુ હતો.
કંઈક આ રીતે શરૂ થઈ હતી મેચ
ઈંગ્લેન્ડના કેપ્ટન માઈક ડેનેસે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સુનીલ ગાવસ્કર અને સુધીર નાયક ઓપનિંગ કરવા ઉતર્યા. ગાવસ્કર અને નાયકે અપેક્ષા પ્રમાણે સારી શરૂઆત કરી. 44 રને ભારતે પહેલી વિકેટ ગુમાવી. નાઈક 1 રન બનાવીને રોબિન જેકમેનની બોલ પર આઉટ થયા. બાદમાં કેપ્ટન અજીત વાડેકર મેદાન પર આવ્યા. સ્કોર 6 રન આગળ વધ્યો અને ગાવસ્કર 28 રન કરીને આર્નોલ્ડના બોલ પર બોલ્ડ થઈ ગયા. ટીમનો સ્કોર 60 રને પહોંચ્યો તો ગુંડપ્પા વિશ્વનાથને બોલ વુલ્મરે 4 રને બોલ્ડ કરી નાખ્યા. આવી સ્થિતિમાં વિકેટકીપર ફારુખ એન્જિનિયર અને કેપ્ટન વાડેકરે ઈનિંગને સંભાળી. બંને વચ્ચે 70 રનની પાર્ટનરશિપ થઈ, ટીમનો સ્કોર 130એ પહોંચ્યો. ત્યારે જ એન્જિનિયરને ક્રિસ ઓલ્ડે 32 રને આઉટ કર્યા. ચોથી વિકેટ પડ્યા બાદ બ્રજેશ પટેલ મેદાનમાં ઉતાર્યા. વાડેકર અને પટેલે 51 રનની પાર્ટનરશિપ કરી, અને વાડેકર 67 રન બનાવીને જેકમેનના બોલ પર બોલ્ડ થઈ ગયા. ભારત તરફતી બ્રજેશ પટેલે શાનદાર બેટિંગ કરી. બ્રજેશ પટેલે 105ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 78 બોલમાં 82 રન બનાવ્યા. જેમાં ચોગ્ગા અને 2 સિક્સર્સ સામેલ હતી. બાદમાં એકનાથ સોલ્કર 3, આબીલ અલી 17, મદનલાલ 2 અન વેંકટ રાઘવને 1 રન બનાવ્યા. બિશનસિંહ બેદી 0 રને આઉટ થયા. આ રીતે ટીમ ઈન્ડિયાએ 53.5 ઓવરમાં 265 રનનો સન્માન જનક સ્કોર બનાવ્યો. જો કે ભારત પૂરી 60 ઓવર નહોતું રમી શક્યું. પરંતુ ભારતની ખરાબ બોલિંગને કારણે આ ટાર્ગેટ સુધી ઈંગ્લેન્ડ આસાનીથી પહોંચી ગયું.
એક પણ બોલર ન થયો સફળ
તે સમયે ભારત પાસે માત્ર નામના ફાસ્ટ બોલર હતા. ફાસ્ટ બોલિંગની જાબદારી આબિદ અલી, એકનાથ સોલ્કર અને મદનલાલ પર હતી. સોલ્કર તો મીડિયમ પેસર પણ નહોતા. મદનલા અને આબિલ અલીની બોલિંગ એવરેજ હતી. ઈંગ્લેન્ડ તરફતી ડેનિસ એમિસ અને ડેવિડ લોયડ બેટિંગમાં ઉતર્યા. બંનેએ પહેલી વિકેટ માટે 37 રનની પાર્ટનરશિપ કરી. એમિસને સોલકરે એલબીડબલ્યુ કર્યો. તો 84ના સ્કોર પર લોઈડ આુટ થયો. સોલકરે જ તેને 34 રને આઉટ કર્યો. અહીં સુધી મેચ ભારતની પકડમાં હતી. પરંતુ બાકીના બોલર્સે ભારતની આશા પર પાણી ફેરવી દીધું. ઈંગ્લેન્ડ તરફથી જૉન એડ્રિસે 90, કીમ ફ્લેચરે 39, ટોની ગ્રેગે 40, એલેન નોટે નોટ આઉટ 15 અને ક્રિસ ઓલ્ડે નોટ આઉટ 5 રન બનાવી ઈંગ્લેન્ડને જીત અપાવી. ઈંગ્લેન્ડ 23 બોલ બાકી રાખીને મેચ જીતી ગયું. અને ભારતનો 4 વિકેટે પરાજય થયો.
આવી હતી બોલિંગ
ભારતીય ટીમને પોતાના બે દિગ્ગજ સ્પિનરો બિશનસિંહ બેદી અને એસ. વેંકટ રાઘવન પર ખૂબ ભરોસો હતો. ઈંગ્લેન્ડનું હવામાન જોતા ભારતે 3 મીડિયમ પેસરને ટીમમાં સામેલ કર્યા. હુકમનો એક્કો મનાતા બિશનસિંહ બેદી ખર્ચાળ સાબિત થયા. તેમણે 11 ઓવરમા 68 રન આપ્યા. તો વેંકટરાઘવને 11 ઓવરમાં 58 રન આપ્યા. એકનાથ સોલ્કરને ખાસ નહોતા ગણાતા તેણે સૌથી સારી બોલિંગ કરી. સોલકરે 11 ઓવરમાંથી 1 મેડન નાાખી અને માત્ર 31 રન આપી 2 વિકેટ ઝડપી. આબિદ અલીએ 9 ઓવરમાં 51 રન આપ્યા. મદન લાલે 91. ઓવરમાં 43 રન આપીને એક વિકેટ ઝડપી. તે સમયે વનડે ક્રિકેટમાં 350 રનનો સ્કોર સેફ મનાતો હતો. આટલા રન બનાવે તે ટીમની જીતની શક્યતા વધુ મનાતી હતી. ટીમ ઈન્ડિયાએ બેટિંગમાં તો કમાલ કરી, પરંતુ ખરાબ બોલિંગે ઈતિહાસ ન રચવા દીધો.
1974નો પ્રવાસ સાબિત થયો ખરાબ સપનું
1974નો ઈંગ્લેન્ડનો પ્રવાસ ભારત માટે ખરાબ હતો. ભારતના શરમજનક પ્રદર્શને લેજન્ડ ક્રિકેટર અજીત વાડેકરનું કરિયર સમાપ્ત કરી નાખ્યું. એક શાનદાર ખેલાડીના કરિયરનો અપમાનજનક અંત આવ્યો. પહેલી વનડેમાં જે હાર મળી, તેમાંથી ભારત બહાર ન આવી શક્યું. બીજી વન ડે પણ ભારત 6 વિકેટે હાર્યું. આ સિરીઝમાં જ ટીમ ઈન્ડિયા ફક્ત 42 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ભારતે આ ખરાબ પ્રદર્શન કર્યું હતું. પહેલી ટેસ્ટ ભારત 113 રને હાર્યું. આ ટેસ્ટમાં ગાવસ્કરે સેન્ચ્યુરી ફટકારી, પરંતુ સામે કોઈ બેટ્સમેન ન ટક્યા. બીજી ટેસ્ટમાં ભારત 1 ઈનિંગ અને 285 રને હાર્યું. તો ત્રીજી ટેસ્ટમાં પણ 1 ઈનિંગ 78 રને પરાજય થયો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો