World Cup 2019: ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ, ફક્ત રમત નહીં પણ જંગ
ભારત પાકિસ્તાનમાં ક્રિકેટની લોકપ્રિયતા દીવાનગીની હદ સુધી છે. પરંતુ બંને દેશોના ખરાબ સંબધો હંમેશા ક્રિકેટને નડતા આવ્યા છે.
ભારત પાકિસ્તાનમાં ક્રિકેટની લોકપ્રિયતા દીવાનગીની હદ સુધી છે. પરંતુ બંને દેશોના ખરાબ સંબધો હંમેશા ક્રિકેટને નડતા આવ્યા છે. 1965ના યુદ્ધમાં પાકિસ્તાન હાર્યું ત્યાર બાદ આ નફરતની આગ એટલી ભડકી કે 18 વર્ષ સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ ન રમાઈ. 1977માં જ્યારે જનતા પાર્ટીની સરકાર આવી તો ક્રિકેટ સંબંધ સુધર્યા. 1999માં કારગીલ યુદ્ધ બાદ ફરી એકવાર બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ બંધ થયું. 2008માં મુંબઈમાં આતંકી હુમલા બાદથી ક્રિકેટ આજે પણ બંધ છે. ભારતના ભાગલા ભયંકર લોહિયાળ રહ્યા હતા, એટલે શરૂઆતથી જ બંને દેશો વચ્ચે નફરતનું રાજકારણ ચાલતું આવ્યું છે. કોઈ પણ ક્ષેત્રે ભારતથી પાછા પડવું એ પાકિસ્તાન પોતાનું અપમાન સમજે છે. એક યુદ્ધની હાર ભૂલાવવા માટે પાકિસ્તાન કમ સે કમ ક્રિકેટમાં જીતવા ઈચ્છતું હતું. એટલે જ જ્યારે પાકિસ્તાનને ટેસ્ટ નેશનનો દરજ્જો મળ્યો તો પાકિસ્તાને સૌથી પહેલા ભારત સામે રમવાનું પસંદ કર્યું.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ક્યારે રમી હતી પહેલી વન ડે, કેવું હતું પ્રદર્શન?

1952માં પહેલીવાર ભારત આવી પાકિસ્તાનની ટીમ
અબ્દુલ હાફિઝ કારદારના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ 1952માં ટેસ્ટ સિરીઝ રમવા ભારત આવી. પાકિસ્તાનની ટીમમાં કારદાર, આમિર ઈલાહી, અને ગુલ મોહમ્મદ જેવા ખેલાડીઓ હતા, જેઓ ભારત માટે ટેસ્ટ રમી ચૂક્યા હતા. તે સમયે ભારતની ટીમ મજબૂત હતી. લાલા અમરનાથ ભારતીય ટીમના કેપ્ટન હતા. લાલા અમરનાથને આજે પણ વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટનમાંના એક મનાય છે. તેઓ જેટલા સારા ખેલાડી હતા, એટલા જ તેજ કેપ્ટન પણ હતા. ટેસ્ટ મેચમાં સેન્ચ્યુરી લગાવનાર તે પહેલા ભારતીય ક્રિકેટર છે. આ ઉપરાંત મહાન ઓલરાઉન્ડર વિનુ માંકડ, દિગ્ગજ સ્પિનર ગુલામ અહેમદ, શાનદાર બેટ્સમેન વિજય મર્ચંન્ટ, પાલી ઉમરીગર અને વિજય માજંરેકર પમ ભારતીય ટીમની શાન હતા. બીજી તરફ પાકિસ્ાનની ટીમમાં ફઝલ મહમૂદ, ખાન મોહમ્મદ જેવા ફાસ્ટ બોલર્સ હતા. નજર મોહમ્મદ, હનીફ મોહમ્મદ અને કારદાર જેવા સારા બેટ્સમેન પણ હતા.

પહેલી ટેસ્ટ હાર્યું પાકિસ્તાન
પહેલી ટેસ્ટ મેચ દિલ્હીમાં રમાઈ હતી. પહેલી જ ટેસ્ટમાં ભારતે પાકિસ્તાનને એક ઈનિંગ અને 70 રને હરાવ્યું. આ હારથી પાકિસ્તાન ખળભળી ઉઠ્યું હતું. ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. વિજય હજારેએ 76, હેમુ અધિકારીના 81 રનની મદદથી ભારતે પહેલી ઈનિંગમાં 371 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર 150 રન જ બનાવી શકી. વિનુ માકડે 47 ઓવરમાં 52 રન આપી 8 વિકેટ ઝડપી હતી. એકલા માંકડે જ પાકિસ્તાનને પેવેલિયન ભેગું ર્યું. બીજી ઈનિંગમાં પાકિસ્તાનની ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. માંકડે ફરી એકવાર સ્પિન બોલિંગનો કમાલ દેખાડતા 5 વિકેટ ઝડપી. 4 વિકેટ ગુલામ અહમદે ઝડપી. આ રીતે પાકિસ્તાન પહેલી ટેસ્ટ એક ઈનિંગ અને 70 રનથી હારી ગયું. બીજી ટેસ્ટ મેચ લખનઉમાં રમાઈ. આ વખતે પાકિસ્તાને જબરજસ્ત વળતો પ્રહાર કર્યો. પાકિસ્તાનના ફાસ્ટ બોલર ફઝલ મહેમૂદની ઘાતક બોલિંગ અને નજર મહોમ્મદની સેન્ચ્યુરીને કારણે પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં હતું. આ મેચ મેટિંગ વિકેટ પર રમાી હતી. પહેલી ઈનિંગમાં ભારતે માત્ર 106 રન જ બનાવ્યા. ફઝલે 5 વિકેટ ઝડપી. જવાબમાં પાકિસ્તાને મહોમ્મદ નઝરની સેન્ચ્યુરી સાથે 331 રન બનાવ્યા ભારતની બીજી ઈનિંગ પણ 182 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ફઝલ મહેમૂદે 7 વિકેટ ઝડપી ટીમ ઈન્ડિયાની કમર તોડી નાખી. ભારત બીજી ટેસ્ટ 1 ઈનિંગ અને 43 રને હારી ગયું.

ભારતનું કમબેક
લખનઉ ટેસ્ટમાં હાર બાદ ભારતે કમ બેક કર્યું. મુંબઈમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ જીતીને ભારતે સિરીઝ 2-1થી જીતી લીધી. બે ટેસ્ટ મેચ ડ્રો રહ્યા. મુંબઈ ટેસ્ટમાં લાા અમરનાથે 4 અને વિનું માંકડે 3 વિકેટ ઝડપી અને પાકિસ્તાન 186 રન જ બનાવી શક્યું. જવાબમાં ભારતે વિજય હઝારેને 146 અને પોલી ઉમરીગરના 102 રનની મદદથી 4 વિકેટે 387 રન બનાવી ઈનિંગ ડિકલેર કરી. પાકિસ્તાનની બીજી ઈનિંગમાં હનીફ મોહમ્મદે 96 તો વકાર હસને 65 રન બનાવ્યા પણ ટીમ 242માં ઓલઆઉટ થઈ. વિનુ માંકડે ફરી એકવાર 5 વિકેટ ઝડપી. હવે ભારતની જીત માત્ર ઔપચારિક રીતે બાકી હતી. ભારતે વિના વિકેટે 45 રન બનાવી ટેસ્ટ મેચ 10 વિકેટે જીતી લીધી.

હારથી ડરેલા પાકિસ્તાને મેચ ડ્રો કરી
ભારત સામે પહેલી ટેસ્ટ સિરીઝ હારવા પર પાકિસ્તાનમાં જબરજસ્ત હોબાળો થયો. ખેલાડીઓ સાથે ગેરવર્તણૂંક થઈ. ત્યારથી પાકિસ્તાનના ક્રિકેટર હંમેશા દબાણમાં રહેવા લાગ્યા. તેઓ મેચ ફક્ત ડ્રો કરવા પર ધ્યાન આપવા લાગ્યા. ભારતની ટીમ હેલીવાર 1954-55માં પાકિસ્તાન ગઈ. પાકિસ્તાને ધીમી બેટિંગ કરી. પેશાવર ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાને આખો દિવસ બેટિંગ કરી. પણ 100 ઓવરમાં 129 રન જ બનાવ્યા. છ વિકેટ પડી. આ સિરીઝમાં 5 ટેસ્ટ રમાઈ, પણ તમામ ડ્રો રહી. 1960-61માં પાકિસ્તાનની ટીમ બીજી વાર ભારત આવી. આ સિરીઝની પણ તમામ મેચ ડ્રો રહી.

18 વર્ષ બાદ ભારત-પાક. વચ્ચે ક્રિકેટ
1965માં પાકિસ્તાન યુદ્ધ હાર્યુ. જેને કારણે બંને દેશો વચ્ચે ક્રિકેટ બંધ થઈ ગયું. 1978માં બિશનસિંહ બેદીના નેતૃત્ત્વમાં ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ. ભારત તરફથી માત્ર ગાવસ્કરે પ્રતિષ્ઠા પ્રમાણે બેટિંગ કરી. તેમણે ત્રીજી ટેસ્ટની બંને ઈનિંગમાં સેનચ્યુરી બનાવી. ગાવસ્કરે કુલ છ ઈનિંગમાં 89, 8, 5, 97, 111 અન 137 રન બનાવ્યા. પરંતુ પાકિસ્તાન ઈમરાન ખાન અને સરફરાઝ નવાઝની ફાસ્ટ બોલિંગના કારણે ભારત પર ભારે પડ્યું. બંને બોલર્સે સિરીઝમાં 31 વિકેટ ઝડપી. છેલ્લી ટેસ્ટમાં તો ઈમરાન ખાને પોતાની વિસ્ફોટક બેટિંગને કારણે એકલા જ જીત અપાવી દીધી. ભારતે આ ટેસ્ટ સિરીઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો.

1979-80માં ભારતે લીધો બદલો
ભારતે 1978નો બદલો એક વર્ષ બાદ જ લઈ લીધો. 1979માં આસિફ ઈકબાલના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ ભારત આવી. આ ટીમમાં ઈમરાન ખાન, ઝહીર અબ્બાસ, જાવેદ મિયાંદાદ, અબ્દુલ કાદિર જેવા ધુરંધર ખેલાડીઓ હતા. પરંતુ ગાવસ્કરની કેપ્ટનશિપમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. છ ટેસ્ટ મેચની સિરીઝ ભારત 2-0થી જીત્યું. 4 ટેસ્ટ ડ્રો થઈ. ગાવસ્કરે અને કપિલ દેવે શાનદાર પ્રદર્શન કર્યું. તો આનો બદલો પાકિસ્તાને 1982-83માં લીધો. આ વખતે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ગઈ હતી. પાકિસ્તાને 3-0થી સિરીઝ જીતી લીધી. 1984માં પાકિ્તાનની ટીમ ભારત આવી. આ સિરીઝ ડ્રો થઈ. 1986-87માં પાકિસ્તાનની ટીમ બારત આવી, જેમાં પહેલી ચાર ટેસ્ટ ડ્રો રહી. છેલ્લી ટેસ્ટ બેંગ્લોરમાં હતી. પાકિસ્તાન હારતા હારતા જીત્યું અને સિરીઝ 1-0થી જીતી લીધી. 1989-90માં ભારતની ટીમ પાાકિસ્તાન પહોચી. આ ટુર્નામેન્ટ ભારત માટે સચિન તેન્ડુલકર એક શોધ સાબિત થઈ. ચારેય ટેસ્ટ ડ્રો રહી. 1990 બાદ રાજકીય સંબંધોને કારણે ફરી ક્રિકેટ ્ટક્યું. 1997-98માં પાકિસ્તાની ટીમ ફરી ભારત આવી. . આ વખતે ભારત પાકિસ્તાનને એક એક ટેસ્ટમાં જીત મળી અને સિરીઝ ડ્રો રહી.

2003-04માં પહેલીવાર ભારતે પાકિસ્તાનમાં સિરીઝ જીતી
સૌરવ ગાંગુલી ભારતના કેપ્ટન છે, જેમણે પાકિસ્તાનમાં પહેલીવાર ટેસ્ટ સિરીઝ જીત. એટલું જ નહીં ગાંગુલીના કેપ્ટનસીમાં ભારતે પહેલીવાર પાકિસ્તાનને વન ડેમાં તેની જ ધરતી પર હરાવ્યું. 2003-04નો ભારતનો પાકિસ્તાન પ્રવાસ ઐતિહાસિક રીતે મહત્વનો છે. આ સિરીઝાં સેહવાગે 309 રન ફટકારી મુલ્તાનના સુલ્તાનનું બિરુદ મેળવ્યું. તો દ્રવિડે પણ યાદગાર 270 રન બનાવ્યા. ભારતે 2-1થી સિરીઝ જીતી. તો વન ડે સિરીઝમાં 3-2થી જીત મેળવી. 2004-05માં પાકિસ્તાન ભારત આવ્યું. ફરી એકવાર 1-1 ટેસ્ટ જીતીને બંને ટીમ બરાબરી પર રહી. 2005-06માં ભારતની ટીમ પાકિસ્તાન ગઈ. પાકિસ્તાને એક ટેસ્ટ જીતીને સિરીઝ જીતી લીધી. પરંતુ વન ડેમાં ભારતે કમાલ કરી 4-1થી પાકિસ્તાનને હરાવ્યું. 2008માં મુંબઈ પર આતંકી હુમલો થયો, ત્યારથી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ બંધ છે. વર્લ્ડ કપ કે બીજી ટુર્નામેન્ટોમાં બંને દેશો ટકરાયા કરે છે.












Click it and Unblock the Notifications
