હવે આઇપીએલ પણ નહીં રમે સૌરવ ગાંગુલી
આ અંગે સૌરવે કહ્યું કે હું આઇપીએલના પ્રારંભથી જ તેમાં ભાગ લઇ રહ્યો છે અને હવે પાંચમી શ્રેણી બાદ મે આ નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આઇપીએલે મને ઉચ્ચસ્તીરય ક્રિકેટ રમવાની તક આપી, પરંતુ હું દરેક વખતે સારું રમી શકું નહીં તેથી મે ફ્રેન્ચાઇઝી ઓનરને આગામી સત્રમાં મારા નામ પર વિચાર નહીં કરવા જણાવી દીધું છે.
સૌરવે રણજીમાં પણ નહીં રમવાનો નિર્ણય કર્યો છે. આ અંગે તેનું કહેવું છે કે મને ખબર છે કે હવે હું ટીમ ઇન્ડિયા માટે નહીં રમુ. તેવામાં પ્રથમ શ્રેણી ક્રિકેટ રમવુ એક અઘરું કામ છે, પરંતુ તૈયારી વગર કોઇ આઇપીએલ રમી શકે નહીં, તેથી ક્રિકેટમાં સક્રિય રહેવું વધારે મહત્વપૂર્ણ હતું.
આ સાથે જ સૌરવની 21 વર્ષ લાંબી ક્રિકેટ કારકિર્દીનો અંત આવી જશે. સૌરવે 1989-90માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી. બંગાળ ક્રિકેટ અંગે ગાંગુલીએ કહ્યું કે મનોજ તિવારી, રિદ્ધિમાન સાહા અને અશોક ડિંડા ટીમ ઇન્ડિયામાં રમવા માટે તૈયાર છે.
ટી-20 ફોર્મેટ અંગે ભારતના પૂર્વ સુકાનીએ કહ્યું કે આ એક પડકારજનક રમત છે. સૌરવે આઇપીએલની 59 મેચોમાં 25.46ની એવરેજ અને 106.80ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. સૌરવના ઓફ સાઇડના શ્રેષ્ઠ ફોર્મના કારણે તેને ઓફ સાઇડનો ભગવાન કહેવામાં આવતો હતો. તેની નિવૃત્તિ પછી ક્રિકેટને જરૂરથી આવા ખેલાડીઓની ખોટ સાલશે.