શમી સામે ચાર્જશીટ દાખલ થતા હસીન જહાંએ BCCI પર ઉઠાવ્યા સવાલ
શમી માટે એક મોટી સમસ્યા આવી ગઈ છે જેનું બીજ તેમની પત્ની હસીન જહાંએ રોપ્યુ છે.
ઝડપી બોલર મોહમ્મદ શમી હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના બોલર છે. ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ માટે પણ તેમની જગ્યા પાક્કી છે. પરંતુ આ પહેલા શમી માટે એક મોટી સમસ્યા આવી ગઈ છે જેનું બીજ તેમની પત્ની હસીન જહાંએ રોપ્યુ છે. વાસ્તવમાં શમી પર દહેજ ઉત્પીડન અને યૌન શોષણ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. શમી પર તેમની પત્ની હસીન જહાંએ ગયા વર્ષે દહેજ ઉત્પીડન, શારીરિક ત્રાસ, મેચ ફિક્સિંગ જેવા ઘણા સંગીન આરોપ લગાવ્યા હતા. હવે બરાબર વિશ્વકપ પહેલા શમી પર જ્યારે ફરીથી કાર્યવાહી બેસાડવાની આશા જાગવા લાગી તો હસીન જહાંએ આના પર ખુશી વ્યક્ત કરી સાથે બીસીસીઆઈ પર સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા.

બીસીસીઆઈ પર ઉઠાવ્યા સવાલ
હસીને કહ્યુ કે મને ખુશી છે કે છેવટે શમી સામે એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી. હું પોલિસને ધન્યવાદ આપુ છુ. મે બીસીસીઆઈને એક પત્ર પણ લખ્યો હતો પરંતુ મને સમજાતુ નથી કે તેમણે કોઈ કાર્યવાહી કેમ ન કરી. તમને જણાવી દઈએ કે બીસીસીઆઈએ શમી પર જાતે તપાસ કરાવી હતી અને પરિણામ આવ્યુ કે તે નિર્દોષ છે. ત્યારબાદ બીસીસીઆઈએ તેમને ક્લીન ચીટ આપીને ટીમમાં શામેલ કરી દીધા પરંતુ હસીન જહાં શમી સામે ન્યાયની માંગ કરતી રહી. ટીઓઆઈ સાથે વાત કરતા હસીને અદાલત દ્વારા આ પગલાને તેના માટે રાહત ગણાવી.

મારો થયો હતો બળાત્કાર
હસીને કહ્યુ, ‘પોલિસે મારી ફરિયાદ સ્વીકારી છે. એવા સમયમાં જ્યારે તે (શમી) સારા ફોર્મમાં છે અને દેશ માટે મજબૂત છે, મારુ સમર્થન કરવા માટે હું કોલકત્તા પોલિસ અને બંગાળ પ્રશાસનની ઋણી છુ. જો કે મે એ સાબિત કરવા માટે બધા પુરાવા આપ્યા હતા કે મારી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આશા છે કે આગળની તપાસ પૂર્ણ સત્ય સ્થાપિત કરશે. મને ભગવાન અને ન્યાયપાલિકા પર સંપૂર્ણપણે ભરોસો છે કે મને ન્યાય મળશે.'

હસીને પ્રતિ માસ 7 લાખ રૂપિયાની માંગ કરી
તમને જણાવી દઈએ કે હસીન જહાંએ અલીપુર અદાલતમાં એક અરજી પણ દાખલ કરી હતી જેમાં શમી પાસે પ્રતિ માસ 7 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. અદાલતે તેમની પુત્રીના નામ પર 80,000 રૂપિયા આપવાની અરજી સ્વીકાર કરી લીધી. શમી ભારતીય ટીમનો એક મહત્વનો હિસ્સો છે જેમણે નવી દિલ્લીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં પાંચમી અને અંતિમ વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે મહત્વની ભૂમિકા નિભાવી હતી. જ્યારે તેમને ઈંગ્લેન્ડમાં વિશ્વકપ માટે ભારતીય ટીમના એક અભિન્ન અંગ માનવામાં આવે છે. દહેજ મામલે તેમની સુનાવણી 22 જૂન માટે નિર્ધારિત કરવામાં આવી છે પરંતુ તે સમયે શમી વિશ્વકપમાં ભાગ લઈ રહ્યા હશે. એવામાં તેમને વચમાં કોઈ મેચ છોડીને ભારત આવવુ પડી શકે છે જેના કારણે ટીમને પણ નુકશાન થઈ શકે છે.












Click it and Unblock the Notifications
