પોતાના પુસ્તક પરથી ફિલ્મ બનાવવા ઇચ્છે છેઃ યુવરાજ સિંહ
નવી દિલ્હી, 9 એપ્રિલઃ કેન્સર જેવી અસાધારણ બીમારીને હરાવીને ક્રિકેટના મેદાન પર પુનરાગમન કરીને એક મિસાલ બની ગયેલા ક્રિકેટર યુવરાજ સિંહે અત્યારસુધીની તેની યાત્રા પર આધારિત પુસ્તક પર એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. યુવરાજનું કહેવું છે કે મે હજુ સુધી એ વિચાર્યું નથી કે ફિલ્મમાં મારી ભૂમિકા કોણ નિભાવશે.
યુવરાજના જીવન પર આધારિત પુસ્તક 'ટેસ્ટ ઓફ માઇ લાઇફ'નું થોડા સમય પહેલાં જ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં યુવરાજે પોતાની ક્રિકેટ યાત્રા અને કેન્સર દરમિયાનની પોતાની જિંદગીનું વર્ણન કર્યું છે. ફિલ્મોમાં એક્ટિંગ કરવા અંગે યુવરાજનું કહેવું છે કે આ અંગે તેણે ક્યારેય વિચાર્યું નથી. હું અત્યારે માત્ર મારી રમત પર ધ્યાન આપવા ઇચ્છું છું. જો કે, નિવૃત્તિ બાદ ફિલ્મોમાં કામ કરવા અંગે વિચારી શકું છું.
નોંધનીય છે કે યુવરાજે આઇપીએલમાં અત્યાર સુધી 58 મેચોમાં 1239 રન બનાવ્યા છે, જેમાં બોલિંગ કરતા 24 વિકેટ લીધી છે.