સચિને જાહેર કર્યું, કોના માટે જીતવા માંગે છે IPLનું ટાઇટલ
તેંડુલકરે કહ્યું કે હું મારા માટે કોઇ લક્ષ્ય નક્કી નથી કરતો, જો હું લક્ષ્ય બનાવીશ તો પણ તેને હું મારા સુધી જ સિમિત રાખીશ. હુ થોડોક અંધવિશ્વાસુ છું. તેણે અહીં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ટીમનું લક્ષ્ય ટૂર્નામેન્ટ જીતવાનું છે અમે બધા એવું ઇચ્છીએ છીએ. મુંબઇ ઇન્ડિયન્સના પ્રશસકો માટે આ શાનદાર ભેટ હશે. હું હંમેશા ખિતાબ જીતવા માંગતો હતો. અમે મેદાનમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી જીત હાંસલ કરવા માટે જઇએ છીએ, બાકી બધું ભગવાનના હાથમાં હોય છે. તેંડુલકર આ આઇપીએલ સત્રમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગના નેતૃત્વ હેઠળ રમશે. તેણે કહ્યું કે ટીમ ટૂર્નામેન્ટ માટે તૈયાર છે અને ટ્રોફી જીતવા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
તેંડુલકરે કહ્યું કે ગત સત્રોમાં પણ અમે હંમેશાથી ટૂર્નામેન્ટ જીતવા ઇચ્છતા હતા, પરંતુ તેવુ થઇ શક્યું નહી. અમે એકાદ બે વાર તેની નજીક પહોંચી ગયા હતા, અમે સેમીફાઇનલમાં પણ સ્થાન મેળવી લીધું છે. હું મુંબઇ ઇન્ડિયન્સ ટીમ અને ખેલાડીઓ તરફથી એવું વચન આપવા માંગુ છું કે અમારી પ્રતિબદ્ધતા, સમર્પણ અને ધ્યાન ખિતાબ જીતવા પર રહેશે.
તેમણે કહ્યું કે કોઇપણ પરિણામની ગેરન્ટી નહીં લઇ શકે, પરંતુ અમે પ્રતિબદ્ધતાની ગેરન્ટી લઇ શકીએ છીએ. અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોઇશું અને અમે જેવું સમર્થન છેલ્લા પાંચ વર્ષથી મળતું આવ્યું છે એવું જ સમર્થન આ વખતે પણ મળશે તેવી આશા છે. આ પ્રકારનું સમર્થન મળવું શાનદાર હોય છે, જેમાં અમને એક ટીમ તરીકે સર્વશ્રેષ્ઠ કરવામાં મદદ મળે છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલ 2013માં પોતાના અભિયાનની શરૂઆત ચાર એપ્રિલે બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કરશે.