IND vs NZ: કાનપુર ટેસ્ટમાં અશ્વિનનો જલવો, હરભજનનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો!
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ કાનપુરના મેદાન પર રમાઈ હતી, જ્યાં બંને ટીમોએ અંતિમ દિવસની છેલ્લી ઓવર સુધી ચાહકોને ટેસ્ટ ક્રિકેટનો આનંદ આપ્યો.
નવી દિલ્હી : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ કાનપુરના મેદાન પર રમાઈ હતી, જ્યાં બંને ટીમોએ અંતિમ દિવસની છેલ્લી ઓવર સુધી ચાહકોને ટેસ્ટ ક્રિકેટનો આનંદ આપ્યો. આ મેચમાં ભારતીય ટીમ જીતની અણી પર હતી પરંતુ કિવી ટીમની છેલ્લી વિકેટ ન લેવાને કારણે મેચ ડ્રો રહી હતી. વર્ષ 2018 બાદ ભારતીય ટીમની આ પહેલી મેચ છે જે ડ્રો રહી હતી. બીજી તરફ ન્યુઝીલેન્ડ ટીમ માટે રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલે મેચ બચાવવા માટે છેલ્લા સેશનમાં 52 બોલનો સામનો કર્યો હતો. 284 રનનો પીછો કરતા કિવી ટીમે મેચના અંત સુધી 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવી લીધા હતા.

અંતિમ દિવસની શરૂઆત થઈ ત્યારે ભારતીય ટીમને જીતવા માટે 9 વિકેટની જરૂર હતી અને કિવી ટીમ મેચ બચાવવા માટે દબાણમાં હતી. ચોથા દિવસે રમત સમાપ્ત થઈ ત્યારે વિલિયમ સોમરવિલે નાઈટ વોચમેન તરીકે રમવા આવ્યો હતો, તેથી ભારતીય ટીમને છેલ્લા દિવસે વહેલી વિકેટ મળવાની ધારણા હતી, જો કે કિવિઝ તરફથી ટોમ લાથમ (52) અને સોમરવિલે (36) રન બનાવ્યા અને બીજી વિકેટ માટે 76 રન ઉમેર્યા અને પ્રથમ સત્ર પોતાના નામે કર્યુ.
ઉમેશ યાદવે સોમરવિલેને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી પરંતુ પ્રથમ સેશનમાં માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. આ સમયે એવું લાગી રહ્યું હતું કે ન્યુઝીલેન્ડની ટીમ આસાનીથી મેચ ડ્રો કરશે. સોમરવિલેની વિદાય પછી કેપ્ટન કેન વિલિયમસને (24) ટોમ લાથમ સાથે ઈનિંગની આગેવાની કરી અને ત્રીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી. ભારત માટે અહીં રસ્તો મુશ્કેલ દેખાઈ રહ્યો હતો પરંતુ ત્યારબાદ રવિચંદ્રન અશ્વિને ટોમ લાથમને બોલ્ડ કરી ભારતની વાપસી કરી હતી.
લાથમની આ વિકેટ સાથે રવિચંદ્રન અશ્વિને ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. લાથમની વિકેટ લઈને રવિચંદ્રન અશ્વિન ભારત માટે ત્રીજો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બની ગયો છે. અશ્વિને હરભજન સિંહ (417)ને પાછળ છોડીને 419 વિકેટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અશ્વિને રવિવારે સાંજે વિલ યંગની વિકેટ લઈને તેના રેકોર્ડની બરાબરી કરી હતી.
ત્યારબાદ આર અશ્વિને ટોમ બ્લંડેલને બોલ્ડ કરીને વિકેટની સંખ્યા વધારી દીધી હતી. ભારતીય ટીમ માટે આ મેચમાં જ્યાં રવિચંદ્રન અશ્વિને ટીમમાં વાપસી કરી હતી તો રવિન્દ્ર જાડેજાએ છેલ્લા સેશનમાં 4 વિકેટ લઈને મેચને રોમાંચક બનાવી દીધી હતી. જો કે, ન્યુઝીલેન્ડની ટીમ માટે રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલે મેચ બચાવી હતી. ખરાબ લાઈટના કારણે મેચ પહેલા રોકવી પડી હતી અને છેલ્લી ઈનિંગમાં વિકેટ ન મળવાને કારણે ભારત મેચ જીતી શક્યું ન હતું.












Click it and Unblock the Notifications
