રાજકિય પીચ પર સિદ્ધુના 'બાઉન્સર'નો સામનો કરી શકશે સચિન!
ભારતીય ક્રિકેટ ટીમના માસ્ટર બ્લાસ્ટર, ક્રિકેટના ભગવાન અને વિશ્વ ક્રિકેટના મહાન ખેલાડી તરીકેની ઉપાધી મેળવનારા સચિન તેંડુલકર દ્વારા કારકિર્દીની 200મી ટેસ્ટ રમ્યા બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને હજુ લાંબો સમય થયો નથી, ત્યાં તો તેઓ રાજકારણની પીચ પર બેટિંગ કરવાના હોવાની વાતો પણ વહેતી થવા લાગી છે. એવા સમાચાર મળી રહ્યાં છે કે, સચિન તેંડુલકર કોંગ્રેસ માટે પ્રચાર કરવાના છે.
માહિતી અનુસાર મધ્યપ્રદેશ કોંગ્રેસની ઇચ્છા છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ક્રિકેટર સચિન તેંડુલકર પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરે. આ બાબતનો ખુલાસો એ બાબત પરથી થાય છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણીં પંચને આપવામાં આવેલી તેના સ્ટાર પ્રચારકોની યાદીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે આ સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સચિન સાથે વાતચીત કરશે. સચિન તેંદુલકર કોંગ્રેસ માટે વોટ માંગશે કે નહીં તેનો અંતિમ નિર્ણય સચિન તેંદુલકર જ લેશે. જો ખરેખર સચિન તેંડુલકર રાજકારણમાં જોડાશે તો તેમને ભાજપના નવજોત સિંહ સિદ્ધુના બાઉન્સરનો સામનો કરવો પડશે એ ચોક્કસ છે, તો ચાલો તસવીરો થકી જોઇએ કે ભારતના એવા કયા કયા ક્રિકેટર્સ છે કે જેઓ રાજકારણમાં આવ્યા છે.
સચિન તેંડુલકર
સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાને હજુ બહુ લાંબો સમય થયો નથી ત્યાં જ તેમની બીજી ઇનિંગની શરૂઆતના પડઘમ સંભળાઇ રહ્યાં છે. ક્રિકેટમાં અનેક કિર્તિમાન રચનાર ટીમ ઇન્ડિયાના મહાન ખેલાડી સચિન તેંડુલકર કોંગ્રેસ માટે પ્રચાર કરશે તેવા સમાચાર વહેતા થયા છે.
મહમ્મદ અઝહરુદ્દિન
ટીમ ઇન્ડિયાના પૂર્વ સફળ સુકાની અને મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા ક્રિકેટર મહમ્મદ અઝહરુદ્દિન ક્રિકેટની પીચથી દૂર થયા બાદ રાજકારણમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસના સાંસદ છે.
કિર્તી આઝાદ
1983ના વિશ્વકપ વિજેતા ટીમના સભ્ય ક્રિકેટર કિર્તી આઝાદે ક્રિકેટની પીચ છોડ્યા બાદ રાજકારણની પીચ પર પોતાનું પ્રદર્શન યથાવત રાખ્યું છે, તેઓ દરભંગા બેઠક પરના ભાજપના સાંસદ છે અને રાજકારણમાં સક્રિય છે.
નવજોત સિંહ સિદ્ધુ
નવજોત સિંહ સિદ્ધુ એક જાણીતો ચહેરો છે, અવાર નવાર તેઓ ટીવી પર વિવિધ કાર્યક્રમમાં જોવા મળે છે અને ભારતની મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતા જોવા મળે છે, તેઓ ભાજપના કાર્યકર છે અને તેમણે ભાજપની ટીકીટ પણ ચૂંટણી લડી છે અને પાર્લામેન્ટના સભ્ય બન્યા છે.
ચેતન ચૌહાણ
ભારતના એક સમયના શાનદાર બેટ્સમેન અને સુનિલ ગાવસ્કરના ઓપનિંગ પાર્ટનર ચેતન ચૌહાણે ભાજપની ટીકીટ પર પાર્લામેન્ટ માટે ચૂંટાયા હતા.
વિનોદ કાંબલી
સચિન તેંડુલકરનો નાનપણના મિત્ર વિનોદ કાંબલીએ લોક ભારતી પાર્ટી તરફથી મુંબઇના વિક્રોલી બેઠકની ટીકીટ મેળવી હતી, પરંતુ તેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
મનોજ પ્રભાકર
મેચ ફિક્સિંગના સ્કેન્ડલમાં ફસાયેલા મનોજ પ્રભાકરે પણ રાજકારણની પીચ પર ઝંપલાવ્યું હતું. તેમણે 1998માં દિલ્હીમાં ચૂંટણી લડી હતી, પરંતુ તેમા તેમનો પરાજય થયો હતો.
મન્સુર અલી ખાન પટૌડી
મન્સુર અલી ખાન પટૌડી શાનદાર સુકાની હતા, તેમણે 1991માં ભોપાલમાંથી કોંગ્રેસ તરફથી મળેલી ટીકીટ પર ચૂંટણી લડી હતી, જો કે તેઓ હારી ગયા હતા. 1971માં પણ તેમણે ચૂંટણી લડી હતી. જેમાં પણ તેમનો પરાજય થયો હતો.