IPL સ્પોટ ફિક્સિંગ : ચેન્નાઇ ટીમના માન્યતા રદ થવાનો ભય : ફાઇનલ અંગે પ્રશ્નાર્થ
મુંબઇ, 25 મે : મુંબઈ પોલીસે શુક્રવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના માલિક ગુરુનાથ મયપ્પનની કૌભાંડના સંબંધમાં ધરપકડ કર્યા બાદ હવે સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે. આઈપીએલ સ્પોટફિક્સિંગ કૌભાંડમાં વધારે ખળભળાટ મચાવી મૂકે એવી ઘટનામાં ચેન્નાઇ સુપર કિંગ્સને રવિવારે રાત્રે રમાનારી ફાઇનલ મેચમાં રમવાની મંજૂરી આપવી કે નહીં તે અંગે ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે.
આઈપીએલની આચારસંહિતા અનુસાર, જો કોઈ આઈપીએલ ફ્રેન્ચાઈઝ, ફ્રેન્ચાઈઝ ગ્રુપ કંપની કે એના કોઈ માલિક કોઈ એવી હરકત કે પ્રવૃત્તિ કરે જે આ ક્રિકેટ લીગ, બીસીસીઆઈ આઈપીએલ, બીસીસીઆઈ, કે ક્રિકેટની રમતની પ્રતિષ્ઠા કે નિયમોની વિરુદ્ધની હોય તો ટીમને તત્કાળ રદ કરી દેવી.

માલિક પકડાયા હોવા છતાં ચેન્નાઈ ટીમ રવિવારે આઈપીએલની ફાઈનલમાં રમવા પાત્ર છે કે નહીં. રવિવારે કોલકાતામાં રમાનારી ફાઈનલમાં તેનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થવાનો છે. મુંબઈ પોલીસના સમન્સને પગલે મયપ્પન શુક્રવારે સાંજે અહીં આવી પહોંચ્યા હતા અને સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં પોલીસે હાથ ધરેલી તપાસમાં જોડાયા હતા.
મયપ્પન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ એન શ્રીનિવાસનના જમાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં પકડાયેલા અભિનેતા વિન્દુ દારા સિંહે પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું હતું કે ગુરુનાથ મયપ્પને રૂપિયા 10 લાખનો સટ્ટો લગાવ્યો હતો જે મેચ દીઠ રૂપિયા એક કરોડ સુધી ઉંચે ગયો હતો. મયપ્પને આ મોસમમાં પણ ચેન્નઈ ટીમની મેચો ઉપર સટ્ટો કર્યો હતો. મયપ્પન આજે મુંબઈ આવી પહોંચ્યા બાદ પોલીસ એમને પૂછપરછ માટે પહેલા દક્ષિણ મુંબઈસ્થિત પોલીસ મુખ્યાલયે લઈ ગઈ હતી અને ત્યાંથી એમને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ ગઈ હતી.
પોલીસ વિન્દુ સિંહ અને મયપ્પનને ભેગા કરશે અને બંને પાસેથી સાચી વાત જાણશે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના હિમાંશુ રૉયે શુક્રવારે રાત્રે કહ્યું કે અમે મયપ્પનની વિગતવાર પૂછપરછ કરી છે અને હવે કાયદા અનુસાર અમે એમને કોર્ટમાં હાજર કરીશું. મયપ્પનને પોતાની સમક્ષ શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં હાજર થવાનું મુંબઈ પોલીસે કહી દીધું હતું. દરમિયાન, શ્રીનિવાસને બીસીસીઆઈના પ્રમુખપદેથી રાજીનામું આપવાનો ઈનકાર કર્યો છે.












Click it and Unblock the Notifications
