ધોનીને મેન ઓફ ધ મેચ બનાવાતા ઉભો થયો વિવાદ
ધોનીએ આ મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધારે 36 રન બનાવ્યા હતા, પરંતુ તેની વિકેટ કીપિંગ સારી નહોતી, તેણે આ દરમિયાન મિસ્બાહ ઉલ હકનો કેચ પણ છોડ્યો હતો. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ધોનીને મેચ ઓફ ધ મેચનો વાસ્તવિક હકદાર નહોતો, પરંતુ અંતિમ ક્ષણોમાં તેને આ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો, જેના કારણે તેને ખરાબ સમયમાં રાહત મળી શકે.
મેન ઓફ ધ મેચ એવોર્ડ્સ કોમેન્ટેટર્સની જ્યૂરી દ્વારા નક્કી કરવામાં આવે છે. ધોનીને આ એવોર્ડ આપવાના નિર્ણયથી માત્ર દર્શકો જ નહીં પરંતુ એ કોમેન્ટેટર્સ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા, જે આ જ્યૂરીનો હિસ્સો નહોતા. આ એવોર્ડ માટે ધોની કરતા વધુ હકદાર, જાડેજા હતો, જેણે 27 રનની ઇનિંગ રમવા ઉપરાંત ઉમર અકમલની વિકેટ લીધી અને ઓછા રન આપ્યા, એક શાનદાર કેચ પકડ્યો હતો અને ફિલ્ડિંગ પણ સારી કરી હતી.
વનડે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા સઇદ અજમલે 24 રન આપીને પાંચ વિકેટ મેળવી હતી અને ભારતીય ટીમને સસ્તામાં પેવેલિયન ભેગી કરી હતી. તે પણ આ એવોર્ડનો હકદાર હતો, આ ઉપરાંત ભુવનેશ્વર કુમારને પણ આ એવોર્ડ માટેનો દાવેદાર માનવામાં આવ્યો હતો, તેણે ઓપનિંગ સ્પેલમાં જાદૂઇ પ્રદર્શન કર્યું હતું.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પ્રથમ વનડે મેચમાં પણ ધોનીને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવતા પાકિસ્તાની ટીમે ફરિયાદ કરી હતી. ટીમનો તર્ક હતો કે આ એવોર્ડ નાસિર જમશેદને આપવામાં આવવો જોઇતો હતો, તેણે મેચ વિનિંગ સદી લગાવી હતી. જો કે, ધોનીએ પણ સદી ફટકારી હતી, પરંતુ ટીમના પરાજયના કારણે તે વ્યર્થ પૂરવાર થઇ હતી.