રાહુલ દ્રવિડે BCCI ની ઓફર ઠુકરાવી, ટીમ ઇન્ડિયાના કોચ નહીં બને!
સમાચાર છે કે રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પુરુષ ટીમના કોચની ભૂમિકા ભજવવાની ઓફર નમ્રતાથી ઠુકરાવી દીધી છે.
નવી દિલ્હી : સમાચાર છે કે રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પુરુષ ટીમના કોચની ભૂમિકા ભજવવાની ઓફર નમ્રતાથી ઠુકરાવી દીધી છે. ક્રિકબઝના એક અહેવાલ મુજબ, બીસીસીઆઈએ આ ઓફર વર્તમાન ભારતીય મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પદ છોડવાની જાહેરાત કર્યા બાદ આપી હતી. શાસ્ત્રી સાથે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધર સહિત અન્ય સપોર્ટ સ્ટાફ પણ રાજીનામું આપે તેવી અપેક્ષા છે, જ્યારે સિનિયર ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ નિક વેબે પણ વર્લ્ડ કપ બાદ તેમનું પદ છોડવાની પુષ્ટિ કરી છે. એકંદરે BCCI નવા સ્ટાફની શોધમાં છે.
48 વર્ષીય દ્રવિડ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) નું સુકાન સંભાળી ચૂક્યા છે અને અંડર-19 અને ઇન્ડિયા A ટીમોના પ્રભારી પણ છે. દ્રવિડને ભારતીય ટીમ સાથે ભૂમિકાની ઓફર કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના નથી, જો કે, તેને જુનિયર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને એનસીએમાં સેવા આપવાનું પસંદ કર્યું છે. અગાઉ 2016 અને 2017 માં પણ બીસીસીઆઈની ઓફર ફગાવી દીધી હતી. તમામ ક્રિકેટ વર્તુળોમાં સન્માનિય દ્રવિડ વર્ષોથી યુવાન અને કાચી પ્રતિભાઓને પોતાની જાગરૂક નજર હેઠળ તૈયાર કરવામાં અને માર્ગદર્શન આપવામાં મોખરે રહ્યો છે, જેનાથી ભારત મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓ મેળવી શક્યું છે.
દ્રવિડે અગાઉ 2018 માં ભારતના વિદેશી બેટિંગ સલાહકાર તરીકે સેવા આપી હતી, જ્યારે તાજેતરમાં જ શાસ્ત્રી, અરુણ અને વિક્રમ રાઠોડની ગેરહાજરીમાં જુલાઈમાં મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ટીમના કોચ તરીકે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો.તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની પટૌડી ટ્રોફી માટે જૂનની શરૂઆતથી સપ્ટેમ્બરના મધ્ય સુધી યુનાઇટેડ કિંગડમમાં ભારતીય ટેસ્ટ ટીમ સાથે હતા.
આ દરમિયાન એવું માનવામાં આવે છે કે BCCI તેના બંધારણ હેઠળ નિર્ધારિત શરતો અનુસાર વર્તમાન સ્ટાફના કાર્યકાળના અંતમાં ભારતના મુખ્ય કોચ પદ માટે સત્તાવાર રીતે જાહેરાત આપશે. તમામ ટી 20 વર્લ્ડ કપ માટે તૈયાર ભારતીય ખેલાડીઓ અને અન્ય સહાયક સ્ટાફના સભ્યો હાલમાં યુએઈમાં છે, જેમાંથી મોટાભાગના 15 ઓક્ટોબરે ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર શરૂ થવાના બે દિવસ પહેલા પુરી થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 માં સામેલ છે. ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં ધ ટેલિગ્રાફ સાથે વાત કરતા BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે દ્રવિડ કોચ બનવા માંગતા નથી, ન તો તેને રસ છે. ગાંગુલીએ કહ્યું હતું કે, હું સમજું છું કે તેને (રાહુલ દ્રવિડ) કાયમી કામ કરવામાં રસ નથી. જો કે, અમે પણ તેની સાથે ક્યારેય તેના વિશે વાત કરી નથી. જ્યારે આપણે તેના વિશે (કોચની પોસ્ટ વિશે) વિચારીશું, તો પછી શું થશે તે જોઈશું.