સચિને આંખોમાં નમી સાથે પ્રશંસકોનો માન્યો આભાર
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે વનડે ક્રિકેટમાંથી સચિને પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. સચિનની આ જાહેરાતથી તેમના ઘણા ફેન્સ નિરાશ થઇ ગયા જેઓ તેમને હજી રમતો જોવા માગતા હતા.
સચિને મંગળવારે સવારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આપેલા એક સંદેશમાં જણાવ્યું કે 'ઘણા વર્ષોથી આપ સૌ તરફથી મળેલા પ્રેમ અને સમર્થન પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દ નથી. આ અસીમ પ્રેમ માટે આપનો આભાર. આ માસ્ટર બ્લાસ્ટરે જણાવ્યું કે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના તેમના નિર્ણય બાદ મળેલી અઢળક પ્રતિભાવ પર ભાવુક થઇ ગયા અને આવો પ્રેમ ભર્યો રિસ્પોન્સ મળતા તેમની આંખોમાં પાણી આવી ગયું.
તેમણે સંદેશમાં એ પણ લખ્યું કે ખાસ કરીને ઘણા દિવસથી મળી રહેલી આપની અભિવ્યક્તિઓએ મારા હૃદયમાં અપાર પ્રેમ ભરી દીધો અને આંખોમાં આંસુ પણ આવી ગયા. સચિને એ પણ કહ્યું કે તે આખી જીંદગી વન ડે કારકિર્દી દરમિયાનની ક્ષણોને હંમેશા યાદ રાખશે. વનડે ક્રિકેટની યાત્રાની જાદુઇ ક્ષણો હંમેશા મારી સાથે રહેશે, જેના માટે આપનો ધન્યવાદ.