સ્પૉટ ફિક્સિંગ : પોલીસ RRની માલિક શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરી શકે

અત્રે ઉલ્લેખનીય છે કે 2003ની સાલમાં શિલ્પા શેટ્ટીએ સુરતના એક ઉદ્યોગપતિ અને પ્રફુલ્લ સાડીના માલિક પંકજ અગ્રવાલ સાથે ટેલિવિઝન જાહેરાત માટેનો કોન્ટ્રાકટ સાઈન કર્યો હતો, પરંતુ આ કોન્ટ્રાકટમાં નાણાંના મામલે અગ્રવાલ અને શિલ્પા શેટ્ટી વચ્ચે વિવાદ થયો હતો ત્યારે શિલ્પા શેટ્ટી તેના પિતા સુરેન્દ્ર શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટી સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પંકજ અગ્રવાલે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં શિલ્પા શેટ્ટીએ માફિયા ડોન દાઉદના નજીકના સાગરીત ફઝલ-ઉર-રહેમાનને બે કરોડની ખંડણી વસૂલવા સોપારી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. દરમિયાન 2006માં ફઝલ-ઉર-રહેમાન નેપાળ સરહદેથી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે જ્યારે પંકજ અગ્રવાલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ત્યારે પોલીસે આ ફરિયાદના સંદર્ભમાં શિલ્પા શેટ્ટી અને તેનાં માતા-પિતાની પૂછપરછ કરી હતી.
હવે જ્યારે રાજસ્થાન રોયલ્સની માલિક શિલ્પા શેટ્ટીની ટીમના શ્રીસંત સહિત ત્રણ ક્રિકેટરની સ્પોટ ફિકિસંગના મામલે ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ રેલો શિલ્પા શેટ્ટીના પગ સુધી પહોંચશે અને પોલીસ ટૂંક સમયમાં જ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની પૂછપરછ કરનાર છે.
આજે રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગના કેસમાં બુકીઓ સાથે રંગેહાથ પકડાયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે "હું આ વિશે કંઈ જાણતી નથી. આ ઘટનાથી અમને આંચકો લાગ્યો છે. અમે તપાસમાં સહયોગ આપીશું. અમે બીસીસીઆઈના સંપર્કમાં છીએ."
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રોયલ્સ ટીમ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની માલિકીની છે. રાજસ્થાન રોયલ્સના મુખ્ય કાર્યકારી અધિકારી રઘુ અય્યરે ટીમના ત્રણ ખેલાડીની ધરપકડની પુષ્ટિ કરી હતી. "આ વિશે અમને વધુ કંઈ માહિતી ન હોવાથી અમે કોઈ પુષ્ટિ કરી શકીએ એમ નથી," એવું અય્યરે ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
