સ્પોટ ફિક્સિંગને કારણે IPL દર્શકો 14 ટકા ઘટ્યા
18 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ માટેના ટીએએમ વ્યૂઅરશિપ ડેટાના અનુસાર 16 મે પૂર્વે સાંજે રમાયેલી ચાર મેચનું સમગ્ર ભારતમાં સરેરાશ ટીવીઆર 3.65 હતું. સ્પોટ ફિક્સિંગના સમાચાર આવ્યા બાદ રમાયેલી ત્રણ સાંજની મેચનું ટીવીઆર 3.13 નોંધાયું હતું. આવી જ રીતે હિંદીભાષી બજારો (એચએસએમ)માં પણ સરેરાશ રેટિંગ 3.72 ટીવીઆરથી 14 ટકા ઘટીને 3.2 ટીવીઆર થઈ ગયું છે.
આ એક મોટો ઘટાડો છે, તેવા સમયે આઈપીએલની ઓફિશિયલ પ્રસારણકર્તા સેટ મેક્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ નીરજ વ્યાસે જણાવ્યું છે કે, ''જો તમે આ ટૂર્નામેન્ટના અત્યાર સુધીના એકંદર રેટિંગને ધ્યાનમાં લો તો તેમાં કોઈ મોટો વધારો કે ઘટાડો નોંધાયો નથી.'' ઓલ ઈન્ડિયા અને એચએસએમ માર્કેટ માટેનો સરેરાશ ટીવીઆર અનુક્રમે 2.9 અને 3.0 રહ્યો છે. જોકે તેમાં બપોર પછીની મેચોના એવરેજ ટીવીઆરનો પણ સમાવેશ થાય છે, જે સામાન્ય સંજોગોમાં નીચો જ રહેતો હોય છે.
ટીવીઆરના ઘટાડાને લીધે સેટ મેક્સના કારોબાર પરની અસર વિશે વ્યાસે જણાવ્યું હતું કે ''અમારા કોઈ વિજ્ઞાપનદાતા અથવા એજન્સીઓએ હજુ સુધી કોઈ કેન્સલેશન કરાવ્યું નથી કે પીછેહટ કરી નથી. સ્ટેડિયમ પણ ભરચક રહે છે. મને કોઈ મોટી અસર થઈ હોય એવું લાગતું નથી.''