કોલકતામાં સંઘર્ષમય સચિન હાંસલ કરશે આ સિદ્ધિ
મુંબઇ, 28 નવેમ્બર: એક તરફ સચિનની નિવૃત્તિને લઇને ચારેકોરથી પ્રશ્નો ઉઠી રહ્યાં છે, ત્યારે બીજી તરફ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ સ્થાપવા જઇ રહ્યો છે. માસ્ટર બ્લાસ્ટર હાલ તેના ક્રિકેટ જીવનના સૌથી કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે જો તે કોલકતા ખાતેની મેચમાં માત્ર 2 રન પણ કરી નાખશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34,000 રન બનાવી લેશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ કોલકતાના ઇડન ગાર્ડન ખાતે 5 ડિસેમ્બરે રમાનારી છે. સતત નિષ્ફળ જવાના કારણે સચિને ઘણી આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સ અને મીડિયા દ્વારા તેના ફોર્મ સામે અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે અને તેના પર ઉમર હાવી થઇ ગઇ હોય તેણે હવે ભવિષ્ય અંગે વિચારી લેવું જોઇએ તેવી સલાહો પણ આપવામાં આવી રહી છે.
આ બધાની વચ્ચે સચિને 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાર્પણ કર્યા પછી અત્યારસુધી 656 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં 192 ટેસ્ટ, 463 વનડે અને એક ટી20 મેચ છે. તેના નામે ક્રિકેટના બન્ને ફોર્મેટ ટેસ્ટ અને વનડેમાં સૌથી વધારે મેચ રમવાનો અને રન બનાવવાનો રેકોર્ડ છે. ટેસ્ટમાં તેણે 15,562 રન અને વનડેમાં તેણે 18,426 રન ફટકાર્યા છે, તેમજ ટી20માં તેણે 10 રન બનાવ્યા છે. જો આ તમામ રનને જોડી દેવામાં આવે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 33,998 રન બોલે છે.
સચિન કદાચ પોતાના હોમ ગ્રાઉન્ડમાં જ 34,000 રનના આંકને પાર કરી ગયો હોત પરંતુ નિષ્ફળ જવાના કારણે તે આ સિદ્ધિ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં નોંધાવી ના શક્યો. નોંધનીય છે કે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવા સહિતના અનેક રેકોર્ડ સચિનના નામે બોલે છે.