શું વિરેન્દ્ર સેહવાગ ખરેખર પુનરાગમન કરી શકશે?
બેંગ્લોર, 8 માર્ચઃ પહેલા વનડે અને પછી ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવેલા ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, તે ટૂંક સમયમાં ટીમમાં પુનરાગમન કરશે. તેણે લખ્યું છે કે મને મારી રમત પર પુરો વિશ્વાસ છે અને હું ટીમમાં ફરીથી મારું સ્થાન મેળવવા માટે કપરી મહેનત કરીશ, પરંતુ શું 34 વર્ષીય સેહવાગ માટે તે ખરેખર સરળ રહેશે?

આવનારા સમયમાં તે આઇપીએલમાં દિલ્હી તરફથી રમશે, પરંતુ ટેસ્ટમાં પસંદગીકર્તાઓ જે રીતે યુવા ખેલાડીઓ પર વિશ્વાસ દર્શાવી રહ્યાં છે, તેના પરથી લાગી રહ્યું છે કે આઇપીએલમાં તેની ધુંઆધાર ઇનિંગ પણ ટેસ્ટમાં પુનરાગમનની ગેરન્ટી નહીં કરાવી શકે.
સેહવાગ પહેલા ઘણા ખેલાડીઓએ કારકિર્દીમાં એવો પળ આવ્યો કે જ્યારે તેમણે આ મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરે પણ ખરાબ ફોર્મમાંથી બહાર આવવા માટે પ્રથમ શ્રેણી મેચ રમ્યા અને પછી ટીમમા પોતાને સાબિત કર્યાં પરંતુ આ બધું કરવું સહેવાગ માટે સરળ નહીં હોય, કારણ કે તેની ફિટનેસ સામે પ્રશ્નાર્થ રહ્યો છે.તે ચશ્મા પહેરીને રમે છે અને પૂર્વ ખેલાડી વિનોદ કાંબલીનું કહેવું છે કે તેનો કમરનો દુખાવો પણ તેના પુનરાગમન સામે રોડો બનેને ઉભો છે.
સેહવાગના પ્રદર્શનની વાત કરીએ તો ટેસ્ટ કારકિર્દીમાં 50થી વધારે એવરેજ રાખનાર સેહવાગે પોતાની છેલ્લી નવ ઇનિંગમાં 162 રન જ બનાવ્યા છે. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્થાનિક ટેસ્ટ શ્રેણીમાં એક સદી જરૂરથી લગાવી હતી, પરંતુ ત્યાર બાદ તે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. આ પહેલા તેણે નવેમ્બર 2010માં ન્યૂઝિલેન્ડની ટીમ વિરુદ્ધ સદી ફટકારી હતી. ક્યારેક ટેસ્ટમાં ઓપનિંગ બેટિંગને નવી રીતે પરિભાષિત કરનાર સેહવાગની શૈલી પર પણ પ્રશ્નો ઉઠ્યાં છે. તે હવે વિકેટ પર ટકી રહેવાનો પ્રયત્ન નથી કરી રહ્યો પરંતુ આ પ્રકારની બેટિંગથી તેણે બે ત્રેવડી પણ ફટકારી છે.
સેહવાગે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 104 મેચોમાં 23 સદી 32 અડધી સદીની મદદથી 8,586 રન બનાવ્યા છે, વનડેમાં તેણે 251 મેચોમાં 8273 રન બનાવ્યા છે. જેમાં તેણે 15 સદી અને 38 અડધી સદી ફટકારી છે. વનડેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 219 રન અને ટેસ્ટમાં 319 રન છે. હવે જોવાનું એ રહ્યું કે, સેહવાગ પસંદગીકર્તાઓનો ભરોસો જીતી શકે છે કે નહીં.












Click it and Unblock the Notifications
