જો હું સચિન હોત તો ક્યારનો નિવૃત્તિ લઇ લેતઃ ગાંગુલી
ઇંગ્લેન્ડ વિરુદ્ધ નાગપુરમાં રમાનારી ચોથી ટેસ્ટમાં યુવરાજ, હરભજન અને ઝહીરનો સમાવેશ નહીં કરાતા સૌરવે કહ્યું કે પસંદગીકારોએ સચિન અંગે પણ વિચાર કરવો જોઇતો હતો, પરંતુ મને લાગે છે કે સચિને અત્યારસુધી જે કંઇપણ કર્યું છે તેનાથી પસંદગીકારો હજુ પણ તેના પર વિશ્વાસ રાખે છે. તેવામાં એ જરૂરી છે કે સચિન રન બનાવે અને જલ્દી પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લે.
સૌરવે કહ્યું કે આપણે બધા સચિનને સારા પ્રદર્શન સાથે ખેલને અલવિદા કહેતો જોવા ઇચ્છીએ છીએ ના કે સંઘર્ષ કરતા. જો હું સચિન હોત તો અત્યારસુધી મે નિવૃત્તિની ઘોષણા કરી દીધી હોત કારણ કે સચિનને આવી રીતે સંઘર્ષ કરતો કોઇપણ જોવા નથી ઇચ્છતું.
બીસીસીઆઇએ પણ અંતિમ ટેસ્ટ ટીમમાં કેટલાક બદલાવ કર્યા છે પરંતુ મોટા નિર્ણય લેવાથી બચવાનો પ્રયત્ન કર્યો છે. સચિન અને ધોનીએ પણ ખરાબ પ્રદર્શન કર્યું છે, પરંતુ હજુ પણ તે ટીમમાં યથાવત છે. ઇંગ્લેન્ડ સામેની હાલની શ્રેણીમાં ભારત 2-1થી પાછળ છે જો અંતિમ ટેસ્ટમાં બ્રિટિશ ટીમ ડ્રો કરવામાં સફળ રહી તો તે લાંબા સમય બાદ ભારતમાં શ્રેણી જીતવામાં સફળ થશે.