યુવી-રૈના માંદા પડ્યાં, ધોની ટેંશનમાં
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર : પ્રથમ ટ્વેંટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ આ વખતે સતત વધતી જઈ રહી છે. ઇંગ્લેન્ડ સાથે મહત્વની મેચ પહેલાં ટીમ ઇન્ડિયાના બે સ્ટાર બેટ્સમેન બીમાર થઈ ગયા છે.

અફઘાનિસ્તાન સામેના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહના ગળામાં સોજો છે, તો સુરેશ રૈનાના પેટમાં ગરબડ પેદા થઈ છે. બીમારીથી પરેશાન બંને ખેલાડીઓ શુક્રવારે ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં નહોતા આવ્યાં.
મળતી માહિતી પ્રમાણે યુવી-રૈના ટીમના મેડિકલ સ્ટાફના ઑબ્ઝર્વેશન હેઠળ છે. સૂત્રોએ જણાવ્યું કે બંનેની બીમારી અંગે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટેંશનમાં છે. તેઓ ડ્રેસિંગ રૂમમાં ઘણાં પરેશાન દેખાયાં.
અફઘાનિસ્તાન જેવી નબળી ટીમ સામે માંડ વિજય હાસલ કરનાર ટીમ ઇન્ડિયા માટે આ સમાચાર મુશ્કેલી પેદા કરનાર છે. એક પછી એક મેચમાં વીરેન્દ્ર સહેવાગ તેમજ ગૌતમ ગંભીરની જોડીના પ્રદર્શને ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી કરવાની જગ્યાએ વધારી છે. જો એવું જ ચાલ્યું તો ભારતીય ટીમ કદાચ ફાઇનલ સુધી પણ નહીં પહોંચી શકે. સાથે જ ગંભીર અને સહેવાગ ઉપરાંત ઝહીર ખાન પણ ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધારી રહ્યાં છે.
શ્રીલંકા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં ગંભીર 4 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયાં, જ્યારે સહેવાગ 12 રન બનાવી પેવેલિયન પરત ફર્યાં. બંને વચ્ચે માત્ર 9 રનની ભાગીદારી થઈ હતી.
પાકિસ્તાન વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં ગંભીર માત્ર 10 રન બનાવી આઉટ થયાં, તો સહેવાગે 28 રન બનાવ્યાં. અફઘાનિસ્તાન વિરુદ્ધ પ્રથમ મેચમાં ગંભીર 10 અને સહેવાગ 8 રન જ બનાવી શક્યા હતાં.












Click it and Unblock the Notifications
