કોઇમ્બતુરમાં સ્થિત છે દુનિયાની સૌથી વિશાળ શિવ પ્રતિમા!!
તમિલનાડુના કોઇમ્બતુરમાં સ્થિત આદિયોગી શિવની પ્રતિમાને વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા તરીકે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
આપણા દેશમાં આમ તો ભગવાન શિવના અનેક મંદિર છે. પરંતુ આ વર્ષે ફેબ્રૂઆરીમાં ભારતમાં મહા શિવરાત્રીના દિવસે વિશ્વની સૌથી વિશાળ શિવ પ્રતિમાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તમિલનાડુના કોઇમ્બતુરમાં સ્થિત આ શિવ પ્રતિમાનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. થોડા દવિસો પહેલાં જ આ મૂર્તિ "આદિયોગી"ને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા
ઇશા યોગા ફાઉન્ડેશન દ્વારા આ તમિલનાડુના કોઇમ્બતૂરમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મૂર્તિ 112 ફૂટની છે અને તેના વિશાળ કદને કારણે જ તેને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 24 ફેબ્રૂઆરી,2017 ને મહા શિવારાત્રિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે આ મૂર્તિનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
500 ટન વજનનું સ્ટીલ
ભગવાન શિવની આ મૂર્તિ તમિલનાડુના કોઇમ્બતુર સ્થિત વેલ્લિંગિરી પહાડોની તળેટીમાં સ્થિત છે. આ મૂર્તિ બનાવવા માટે 500 ટન વજનના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિમાની માત્ર ડિઝાઇન તૈયાર કરવામાં અઢી વર્ષનો સમય લાગ્યો હતો. ડિઝાઇન તૈયાર થયા બાદ 8 મહિનાની જહેમત બાદ મૂર્તિ તૈયાર થઇ.
ધાર્મિક, આધ્યાત્મિક અને ભૌમિતિક મહત્વ
શિવજીની આ પ્રતિમાનું ધાર્મિક અને અધ્યાત્મિક મહત્વ તો છે જ, સાથે જ તેનું ભૌમિતિક મહત્વ પણ ઘણું છે. આ પ્રતિમાની ઉંચાઇ 112 ફુટ રાખવા પાછળ એક ખાસ કારણ છે. ભગવાન શિવે આદિયોગીના રૂપમાં મુક્તિના 112 માર્ગ દેખાડ્યા છે. શિવજીના આદિયોગી રૂપની જ આ પ્રતિમા છે અને આ કારણે તેની ઊંચાઇ હેતુપૂર્વક 112 ફૂટ રાખવામાં આવી છે.
નંદીની મૂર્તિ
શિવ હોય ત્યાં નંદી ન હોય એવું તો કઇ રીતે બને? શિવજીની પ્રતિમાના કદને ધ્યાનમાં રાખીને જ નંદીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. નંદીની મૂર્તિની બનાવટમાં માત્ર 6થી 9 ઇંચના ધાતુના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધાતુના ટુકડાની અંદર તલ, હળદર, ભસ્મ અને રેતી-માટી ભરીને આ મૂર્તિ બનાવવામાં આવી છે.
કઇ રીતે જશો?
- વિમાન દ્વારા - તમિલનાડુના કોઇમ્બતુરની ફ્લાઇટ લેવાની રહે છે. એરપોર્ટ પર ઉતર્યા બાદ આદિયોગી મંદિરની ટેક્સી ખૂબ સરળતાથી મળી રહે છે.
- ટ્રેન દ્વારા - કોઇમ્બતૂર રેલવે જંક્શનની ટિકિટ બૂક કરાવવાની રહેશે. રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ આદિયોગી મંદિરના દર્શન માટે ટેક્સી કરવાની રહે છે.
- બાય રોડ - તમે ખૂબ સરળતાથી બાય રોડ પણ આદિયોગીના દર્શન માટે જઇ શકો છે. કોઇમ્બતૂર દેશના તમામ રાજમાર્ગો સાથે જોડાયેલ છે.
{promotion-urls}