કાશ્મીરનું અનોખુ ગામ, પાકિસ્તાનથી અલગ કરે છે માત્ર નદીની એક ધારા
કાશ્મીર તેની ખૂબસૂરત વાદીઓ માટે દુનિયાભરમાં જાણીતું છે. આ વાદીઓમાં આવુ જ એક અનોખુ ગામ આવેલુ છે. આ ગામ તેની અનોખી ખાસિયત માટે જાણીતું છે.
કાશ્મીરનું તીતવાલ ગામ ચારેબાજુ હરિયાળીથી ઘેરાયેલું છે. અહીંથી પાકિસ્તાન સ્પષ્ટ દેખાય છે. કાશ્મીરના આ ગામમાં બહુ ઓછા પ્રવાસીઓ આવે છે અને એટલે જ તેને કાશ્મીરનું છુપાયેલું રત્ન પણ કહેવામાં આવે છે.

તીતવાલ ગામ કાશ્મીરનું સામાન્ય ગામ નથી. તેની અજોડ સુંદરતાને કારણે તે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે. અહીંની ખાસ વાત એ છે કે, આ ગામ કાશ્મીર એલઓસીનું એક ગામ છે, જે ભારત અને પાકિસ્તાનની સરહદ છે.
ભારત અને પાકિસ્તાનના સંબંધો કોઈનાથી છુપાયેલા નથી પરંતુ અનોખી વાત એ છે કે આ ગામમાં કાંટાળા તારની સરહદ નથી, બલ્કે અહીંથી વહેતી કિશનગંગા નદી બંને દેશો વચ્ચે સરહદનું કામ કરે છે. પાકિસ્તાનમાં આ નદીને નીલમ નદી કહેવામાં આવે છે.
આ ગામ ભારત અને પાકિસ્તાન સરહદથી એકદમ નજીક છે. આ ગામ એલઓસી પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની એકદમ નજીક આવેલું છે. એટલા માટે કાશ્મીરના લોકો વારંવાર નદી પાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રહેવાસીઓ સાથે વાત કરે છે.
રાજકીય સીમાઓ પાર આ બંને ગામોના લોકો વચ્ચે કોઈ દુશ્મનાવટની લાગણી દેખાતી નથી. જ્યારે પણ કોઈ ભારતીય પ્રવાસી આ ગામમાં પીઓકેના રહેવાસીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરે ત્યારે તે ખૂબ જ ઉષ્મા અને આનંદથી જવાબ આપે છે.
આઝાદી બાદ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે સાથે રહેતા પાડોશીઓ અલગ-અલગ દેશોના નાગરિક થઈ ગયા. જો કે તેમની વચ્ચેનો પરસ્પર પ્રેમ ઓછો ન થયો. 1931 માં કિશનગંગા નદી પર એક ફૂટબ્રિજ બનાવવામાં આવ્યો અને તેને મીટઅપ પોઈન્ટ કહેવાય છે.
આ પુલ પરથી લોકો અવારનવાર બંને દેશો વચ્ચે મુસાફરી કરતા હતા. આ ફૂટબ્રિજનો ઉપયોગ 2018 સુધી કરવામાં આવ્યો પરંતુ તે પછી બંને દેશો વચ્ચે સફેદ સરહદની રેખા દોરવામાં આવી અને તેને પાર કરવાની કોઈને મંજૂરી નથી. હવે બંને દેશોમાં રહેતા આ પાડોશીઓ નદીના બંને કિનારે જ મળી શકે છે.
હાલમાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહે તીતવાલમાં શારદા દેવી મંદિરનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું. ખાસ વાત એ છે કે LoC પાસે સ્થિત આ મંદિર બનાવવા માટે જમીન એક મુસ્લિમ નાગરિક દ્વારા વર્ષ 2021માં આપવામાં આવી હતી. મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં વિસ્તારના મુસ્લિમ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કાશ્મીર પ્રવાસ પ્રેમીઓ માટે સ્વર્ગ છે પરંતુ દેશ માટે તે એક સંવેદનશીલ સ્થળ છે. તેથી તમે પરવાનગી વિના અહીં ક્યાંય પણ જઈ શકતા નથી, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં. તીતવાલ ગામમાં જવા માટે સુરક્ષા પરમિટ લેવી પડે છે.












Click it and Unblock the Notifications
