સોનિયા ગાંધીએ 49 વાર સેનાના વિમાનમાં કરી યાત્રા
નવીદિલ્હી, 5 ડિસેમ્બરઃ યુપીએ, કોંગ્રેસ અને રાષ્ટ્રીય સલાહકાર પરિષદની અધ્યક્ષ સોનિયા ગાંધીએ છેલ્લા સાત વર્ષમાં અંદાજે 49 વાર વાયુ સેનાના વિમાન અને હેલીકોપ્ટર્સનો ઉપયોગ કર્યો. તેમાં સૌથી વધારે 23 વખત તે પ્રધાનમંત્રી મનમોહન સિંહના સહ યાત્રી હતા.
ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ મળેવવામાં આવેલી જાણકારી અનુસાર, 2006-07થી સપ્ટેમ્બર 2012 વચ્ચે તેમણે 49 વાર વાયુસેનાના વિમાનો અને હેલીકોપ્ટર્સમાં યાત્રા કરી. રાહુલ ગાંધીએ 2008-09થી 2012 સુધીમાં આઠ વખત વાયુસેનાના વિમાનો અને હેલીકોપ્ટર્સનો ઉપયોગ કર્યો છે. સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી પોતાના નામથી વાયુસેનાના વિમાન કે હેલીકોપ્ટર્સનું રિઝર્વેશન કરી યાત્રા કરવાની યોગ્યતા ધરાવતા નથી. તેથી તેમણે આવી યોગ્યતા ધરાવતા વ્યક્તિ સાથે તેમને યાત્રા કરવાની હોય છે.
વાયુસેનાએ જણાવ્યા પ્રમાણે, નિયમો હેઠળ વાયુસેનાના વિમાનોનો ઉપયોગ કરવાની યોગ્યતા ધરાવતી વ્યક્તિ પોતાના ઉદ્દેશ્ય માટે અન્ય કોઇ વ્યક્તિને પોતાની સાથે રાખી શકે છે. કેન્દ્ર સરકારના અન્ય મંત્રી પણ પ્રધાનમંત્રીની મંજૂરી મેળવીને વાયુસેનાના વિમાનોનો ઉપયોગ કરી શકે છે. સરકારી કાર્યો માટે જરૂરિયાત અનુરૂપ અન્ય કોઇ વ્યક્તિને પોતાની સાથે લઇ જઇ શકાય છે.
પ્રધાનમંત્રી બાદ સોનિયા ગાંધી સાથે સૌથી વધારે યાત્રા કરવાની તક રક્ષામંત્રી એકે એન્ટોની અને પૂર્વ વિદેશ અને નાણામંત્રી તથા હાલના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળી છે. આ બન્ને સાથે સોનિયા ગાંધીએ છ-છ વખત વાયુસેનાના વિમાન અને હેલીકોપ્ટરમાં યાત્રા કરી.