બોટાદના હડદડ ઘર્ષણ કેસમાં ૮૫ લોકો સામે ગુનો નોંધ્યો
બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના બનાવ બાદ હવે કાયદાકીય કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે.
પાળીયાદ પોલીસ સ્ટેશનમાં કુલ ૮૫ લોકો વિરુદ્ધ સંગઠિત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામનો પણ આરોપી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘર્ષણ અને હિંસાની ઘટના બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ, હત્યાનો પ્રયાસ (IPC કલમ ૩૦૭) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આ મામલે અત્યાર સુધીમાં કુલ ૬૫ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત પોલીસે ૫૦થી વધુ વાહનો પણ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ ઘટના દરમિયાન કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ કાર્યવાહી દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર કડક પગલાં લઈ રહ્યું છે.
હડદડ ગામે આ ઘર્ષણ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયત દરમિયાન થયું હતું. આ મહાપંચાયત બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના વેચાણમાં કથિત કડદા પ્રથા (ગેરકાયદેસર વજન કપાત) ના વિરોધમાં યોજવામાં આવી હતી.
જો કે, પોલીસે આ સભાને મંજૂરી આપી ન હોવાનું જણાવીને કાર્યવાહી શરૂ કરી હતી, જેના પગલે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પથ્થરમારાની ઘટના પણ બની હતી, જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
સમગ્ર વિસ્તારમાં હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે અને વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
