આજથી કમૂરતા શરુ, શુભ કાર્યો પર વિરામ, જાણો શું કરવુ અને શું ન કરવુ
સૂર્ય આજે સવારે 9 વાગીને 57 મિનિટે ધન રાશિમાં પ્રવેશ કરતાની સાથે કમૂરતા શરુ થશે. હવે એક મહિના સુધી કોઈ શુભ કાર્યો કરી શકાશે નહિ.
Kharmas 2022: સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે જ કમૂરતા શરૂ થાય છે. સૂર્ય આજે સવારે 9.57 કલાકે ધન રાશિમાં પ્રવેશ કરશે. તેને ધનુર્માસ, મલમાસ અથવા ખરમાસ પણ કહેવામાં આવે છે. ખરમાસમાં લગ્ન, ઉપનયન, મુંડન, ગૃહ પ્રવેશ સહિતના તમામ શુભ કાર્યો પર એક મહિના માટે વિરામ લાગી જાય છે. ધનુર્માસ 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2023 સુધી રહેશે. 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા જ કમૂરતા સમાપ્ત થાય છે. આ દિવસથી સૂર્યનુ ઉત્તરાયણ શરૂ થાય છે.
શું છે ધનુર્માસ કે ખરમાસ
જ્યારે પણ સૂર્ય ગુરુની રાશિઓ ધન અને મીનમાં પ્રવેશ કરે છે ત્યારે ધનુર્માસ એટલે કે ખરમાસ એટલે મલમાસ શરુ થાય છે. મલ એટલે અશુદ્ધ મહિનો. દરેક શુભ કાર્ય કરવા માટે ગુરુનુ શુદ્ધ હોવુ જરૂરી છે પરંતુ સૂર્યના પ્રભાવથી ગુરુ દૂષિત થઈ જાય છે. તેથી જ મલમાસ દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી.
કમૂરતા દરમિયાન શું ન કરવુ
- કમૂરતા દરમિયાન લગ્ન, સગાઈ, મુંડન, ઉપનયન સંસ્કાર, ગૃહ પ્રવેશ વગેરે કાર્યો કરવામાં આવતા નથી.
- કમૂરતામાં કન્યાની વિદાય કરી શકાય નહિ.
- કોઈ દેવી-દેવતાનુ અપમાન ન કરવુ.
- વડીલોનુ અપમાન ન કરવુ.
- કોઈ નવો બિઝનેસ, નવો પ્રોજેક્ટ અથવા નવા કાર્યનો પ્રારંભ ન કરવો.
શ્રીહરિનુ પૂજન કરવુ
ધનુર્માસના પ્રમુખ દેવતા શ્રી હરિ વિષ્ણુ છે. તેથી ધનુર્માસના સમયગાળામાં ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના અને વિવિધ મંત્રોના જાપ કરવાથી તેમના આશીર્વાદ મળે છે. દરરોજ પીળા રંગના ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનના તમામ સુખ વગેરેની પ્રાપ્તિ થાય છે.