વરસાદને બોલવવા માટે આ પારસી યુવકો ફરે છે ઘરે ઘરે, જાણો કેમ?
સુરત,નવસારી: ભારતના હવામાન ખાતા દ્વારા આ વખતે વરસાદ વહેલો રહેશે- એવી આગાહી કરવામાં આવી હતી. જોકે ઘણા રાજ્યોમાં વરસાદની શરુઆત થઈ ચુકી છે પરંતુ હજુ ગુજરાતમાં વરસાદ કેટલા દિવસો ખેંચાશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. જૂન મહિનાનુ બીજુ અઠવાડિયુ પતવા આવ્યુ છતાં હજુ લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તો બીજી તરફ ગુજરાતમાં ઠેર ઠેર પાણીના પ્રશ્નો વિકટ થઇ રહ્યા છે. ગુજરાતની મોટાભાગની પ્રજા પાણીના અભાવે ટળવળે છે. ઉનાળો બેસતા અગાઉથી જ ગુજરાતના મોટાભાગના હિસ્સાઓમાં પાણીની અછત વર્તાવા લાગે છે. તેવા સમયે ગુજરાતીની શાંતિપ્રિય પ્રજા મનાતી પારસી કોમ દ્વારા વરસાદને રીઝવવા એક ઉત્સવ મનવવામાં આવે છે. ત્યારે શું છે આ અનોખી પ્રથા તે વિષે વધુ જાણો અહીં....
બહેરમ માસ, શું છે જાણો?
પારસી પંચાગ પ્રમાણે અત્યારે બહેરમ માસ ચાલી રહ્યો છે. પારસી પ્રજા તેને પવિત્ર મહિનો ગણે છે. બહેરમ માસના રોઝ દિન સૌથી પવિત્ર દિવસોમાં મનાય છે. આ માસમાં તેઓ સંપુર્ણ શાકાહાર ભોજન લે છે. આ દિવસો દરમિયાન વિવિધ ઉત્સવોનુ આયોજન કરે છે. પરિવાના મૃત લોકોની પુજા-અર્ચના કરે છે. આ માસમાં પારસીઓ વરસાદને રીઝવવા તેની ઉજવણી કરે છે.
દુષ્કાળ બન્યું કારણ
આ પ્રથાની શરુઆત 1959માં નવસારીમાં આવેલા દુકાળ વખતથી થઈ હતી. આ પ્રથા પ્રમાણે પારસી પુરુષ ભાઈઓ વરસાદને રીઝવવા દરેક પારસી ઘરે-ઘરે જઈ ખીચડી ઉધરાવે છે. જેમાં તેઓ દરેક ઘરેથી દાળ-ચાવલ, ધી-તેલ ભેગુ કરે છે. દરેક પારસી પરિવાર આ ભાઈઓને અનાજ ને સિધુ આપે છે.
સિધુ માંગી કરે છે જમણ
એકત્ર કરેલી તમામ વસ્તુઓ માંથી ખીચડી બનાવાય છે. ત્યારબાદ તમામ પારસી બાળકો-ભાઈઓ ભેગા મળી સમુહ ભોજન કરે છે. સમુહ ગીતો ગાય છે. સર્વેનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરે છે.
વરસાદની રિઝવવાની પરંપરા
આપણા હિંદુ શાસ્ત્રમાં પણ વરસાદને રીઝવવા માટે બ્રાહ્મ ભોજન, યજ્ઞો, વિધીઓ કરવામાં આવે છે. ત્યારે દૂધમાં સાકરની જેમ ભળી જનારા ગુજરાતી પારસીઓની આ પરંપરા માનવ જાતિના કલ્યાણનો સંદેશ આપે છે.