અમેરિકાનો ઈરાન પર મોટો એર સ્ટ્રાઈક, 12 ઠેકાણાઓને બનાવ્યા નિશાન; તેહરાનની ચેતવણી- હોર્મુઝ જળમાર્ગ ફરી બંધ કરીશુ
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાએ શનિવારે ઈરાન સામે આ અઠવાડિયાનો ત્રીજો મોટો એર સ્ટ્રાઈક કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અમેરિકાએ ઈરાનના ચાબહાર, બુશેહર, બંદર અબ્બાસ અને સિરિક સહિત કુલ 12 ઠેકાણાઓને નિશાન બનાવી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) પર હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા સાયપ્રસના ધ્વજવાળા કન્ટેનર જહાજ M/V GFS Galaxy પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. આ હુમલામાં જહાજના એન્જિન રૂમને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ક્રૂનો એક સભ્ય ગુમ હોવાનું પણ જણાવાયું છે.

24 કલાકના અલ્ટીમેટમ બાદ અમેરિકાનો હુમલો
અહેવાલો મુજબ, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી જહાજોની અવરજવર માટે ખુલ્લો મુકવા અમેરિકા તરફથી ઈરાનને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અલ્ટીમેટમ પૂર્ણ થયાના થોડા જ કલાકોમાં અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક શરૂ કર્યો.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ, શનિવારે વહેલી સવારે લગભગ 5:45 વાગ્યે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકાનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં વેપારી જહાજોને નિશાન બનાવવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રમ્પના નિર્દેશ બાદ ઓપરેશન
અમેરિકી સેનાના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર હાથ ધરવામાં આવ્યું હતું. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, "ઈરાને ખોટો નિર્ણય લીધો છે, હવે તેની કિંમત ચૂકવવી પડશે."
ઈરાનની કડક ચેતવણી, હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરવાની જાહેરાત
અમેરિકી હુમલા બાદ ઈરાને દુનિયાના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંના એક એવા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી બંધ કરવાની ચેતવણી આપી છે. ઈરાનની સરકારી મીડિયા IRIBના જણાવ્યા મુજબ, IRGC નેવીએ કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકા આ વિસ્તારમાં પોતાનો હસ્તક્ષેપ બંધ નહીં કરે ત્યાં સુધી કોઈપણ જહાજને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવા દેવામાં નહીં આવે.
વિશ્વ અર્થતંત્ર પર પડી શકે મોટી અસર
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના કાચા તેલ અને LNG સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંનો એક છે. ભારત સહિત અનેક દેશો સુધી પહોંચતા કાચા તેલનો મોટો હિસ્સો આ જ માર્ગેથી પસાર થાય છે. જો ઈરાન ફરીથી આ જળમાર્ગ બંધ કરશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે.
સીઝફાયર કરાર પર ફરી પ્રશ્નચિહ્ન
અમેરિકાના સતત હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધવિરામ (Ceasefire) કરાર પર ફરી સવાલો ઊભા થયા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે તેમણે ઓમાનના વિદેશ મંત્રી સાથે જહાજોની સુરક્ષિત અવરજવર અંગે ચર્ચા કરી હતી. તેમણે અમેરિકા પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
બીજી તરફ અમેરિકા દાવો કરી રહ્યું છે કે વેપારી જહાજો પર ઈરાન તરફથી થઈ રહેલા હુમલાના જવાબરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ મધ્ય પૂર્વમાં વધતા તણાવ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.












Click it and Unblock the Notifications
