અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટી બનાવી, સેબી 2 મહિનામાં રિપોર્ટ સોંપશે
અદાણી-હિંડનબર્ગ મામલામાં સુપ્રીમ કોર્ટે સેબીને 2 મહિનામાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે નિયમનકારી માળખાની સમીક્ષા કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરી છે.
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના તમામ શેર ગગળવા લાગ્યા છે. જેને કારણે અદાણીને તો નુકસાન થયું જ છે સાથે જ રોકાણકારોને પણ નિરાશા સાંપડી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ વિવાદ મામલે મોટો નિર્ણય લીધો છે.
સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ-અદાણી વિવાદ મામલે નિયમનકારી મિકેનિઝમની સમીક્ષા કરવા માટે નિષ્ણાંત સમિતિની રચના કરી છે. આની સાથે જ સેબીને બે મહિનામાં તપાસ પૂરી કરવાનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ જેબી પરદીવાલાની પીઠે એક્સપર્ટ કમિટીમાં કેટલાય અનુભવી નામ સામેલ કર્યાં છે.
આ કમિટીમાં ઓપી ભટ્ટ, સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ જેપી દેવદત્ત, નંદન નીલાકેની, કેવી કામથ, સોમશેખરન સુંદરસનને સભ્યના રૂપમાં સામેલ કર્યા છે. આ કમિટી સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એએમ સપ્રેની અધ્યક્ષતામાં સમીક્ષા કરશે.