ડ્રીમલાઇનરની ફ્લાઇટ્સ 17 ફેબ્રુઆરી સુધી મુલતવી
ઉલ્લેખનીય છે કે બોઈંગના 787 ડ્રીમલાઈનર વિમાનોમાં વપરાયેલી ખામીભરી લિથીયમ બેટરીઓ અંગે અમેરિકા તથા જાપાનના સત્તાવાળાઓએ હાથ ધરેલી તપાસ પૂરી થવામાં વધારે વિલંબ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. આ ધારણાને પગલે ભારતની એર ઈન્ડિયા તેનાં 6 ડ્રીમલાઈનર વિમાનોને 17 ફેબ્રુઆરી, 2013 સુધી નહીં ઉરાડવાનો નિર્ણય લીધો છે..
નોંધપાત્ર બાબત છે કે એર ઈન્ડિયાએ ડ્રીમલાઇનર વિમાનોની ઉડાન સેવા ગઈ 17 જાન્યુઆરીથી બંધ કરી દીધી છે. અમેરિકાના એવિએશન રેગ્યૂલેટર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આપેલી સૂચનાને પગલે ભારતના રેગ્યૂલેટર ડીજીસીએને ડ્રીમલાઈનર વિમાનોને સેવામાંથી હટાવી લેવા પડ્યા છે.
એર ઈન્ડિયાનું એવું માનવું હતું કે જાન્યુઆરીના અંત સુધીમાં એ ડ્રીમલાઈનરોને ફરી સેવામાં ઉતારી શકશે, પણ હવે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અને વધુ સૂચના ન મળે ત્યાં સુધી આ મોંઘાદાટ વિમાનોની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે નહીં.
એર ઈન્ડિયાને આશા હતી કે ડ્રીમલાઈનર વિમાનોને સેવામાં સામેલ કરવાથી આવક વધશે. આ વિમાનોમાં ઈંધણની બચત કરવાની ક્ષમતા છે. આ વિમાનોને ગયા વર્ષના સપ્ટેંબરથી શરૂ કરવામાં આવ્યા છે. ત્યારથી અત્યાર સુધી તે પ્રતિદિન રૂ. બે કરોડની આવક કરાવી આપતા હતા.