ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં FDI મયાદા વધારાશે
નાણા મંત્રાલય દેશમાં વધતી ચાલુ ખાતાની ખોટને કારણે ચિંતામાં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. હાલ ડિફેન્સ સેક્ટરમાં 26 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે અને તેની મર્યાદા વધારવાની વિચારણા કરવામાં આવી રહી છે.
દેશમાં વિદેશી મૂડીભંડોળમાં વધારો કરી શકાય તે માટે પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકાર દ્વારા વિદેશી કંપનીઓને ભારતના સુપર માર્કેટ અને એરલાઈન્સ કંપનીઓમાં રોકાણ કરવાની મંજૂરી આપી દીધી છે. દેશના આર્થિક સલાહકાર રઘુરામ રાજને જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી ડિફેન્સ સેક્ટરમાં એફડીઆઈમાં વધારો કરવાની વિચારણા કરાઈ રહી છે.
અન્ય હજુ ઘણાં એવા સેક્ટર છે કે જેમાં એફડીઆઈમાં વધારો કરી શકાય છે, તેથી સરકાર દ્વારા પહેલા ડિફેન્સ સેક્ટરને ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે અને તેની પાછળ પાછળ અન્ય સેક્ટરની એફડીઆઈમાં પણ વધારો કરવાનું આયોજન કરવામાં આવશે.
ડીઆઈપીબી વિભાગના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ડિફેન્સ સેક્ટરમાં એફડીઆઈ મર્યાદાને વધારીને 49 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. આ વિશેનું વિધેયક 2008માં જ રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યુ હતું. ભારતની ગણતરી દુનિયામાં સૌથી મોટી રક્ષા આયાતકોમાં કરવામાં આવી રહી છે. ભારતમાં હાલ મલ્ટિ બ્રાન્ટ રિટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ટેલિકોમ અને બેન્કિંગ સેક્ટરમાં 74 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવેલી છે.