ખાદ્ય સુરક્ષા બિલ ભારતની આર્થિક સ્થિતિ વધારે બગાડશે : મૂડીસ
નવી દિલ્હી, 31 ઓગસ્ટ : ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીસ ઇન્વેસ્ટર સર્વિસે જણાવ્યું છે કે દેશમાં બહુ ચર્ચિચ ખાદ્ય સુરક્ષા બિલ (ફૂડ સિક્યુરિટી બિલ) લોકસભામાં તો ભલે પાસ થઇ ગયું પણ તેનાથી ભારતની માઇક્રો ઇકોનોમિક સમસ્યાઓ વધારે વણસી જશે. આ સાથે તે સરકારની આર્થિક સ્થિતિને વધારે નુકસાન પહોંચાડશે.
ફૂડ સિક્યુરિટી બિલને યુપીએ સરકાર માટે નકારાત્મક ગણાવતા એજન્સીએ ભારતને નકારાત્મક રેટિંગ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના માનીતા ગણાતા આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય ભારતની 75 ટકા વસતીને અને શહેરી ભારતની 50 ટકા વસતીને સબસિડી આધારિત અનાજ પુરું પાડવામાં આવશે.
એક તરફ સત્તાધારી પાર્ટી આ યોજનાને નબળી આર્થિક સ્થિત ધરાવતા નાગરિકો માટે કલ્યાણકારી ગણાવી રહી છે. બીજી તરફ આર્થિક નિષ્ણાતો આ યોજનાને સરકારની આર્થિક બાબતોને વધારે નુકસાન પહોંચાડનારી અને અર્થનંત્રને પતન તરફ લઇ જનારી ગણાવી રહ્યા છે.
આ સાથે નિષ્ણાતો એવી સલાહ પણ આપી રહ્યા છે કે અત્યારે દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે અને રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે ત્યારે થોડા સમય માટે આ યોજનાનો અમલ ટાળી દેવો જોઇએ.