નોટબંધી અંગે સરકારને ચેતવણી આપી હતી: રઘુરામ રાજન
આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું, નોટબંધી અંગે આપી હતી ચેતવણી.
થોડા સમય પહેલાં ભારતીય રિઝર્વ બેંક તરફથી નોટબંધી અંગેની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી હતી. એ માહિતી પરથી સ્પષ્ટ થયું હતું કે, 99 ટકા જૂની ચલણી નોટો પરત આવી ચૂકી છે. ત્યાર બાદ હવે એ સવાલ થઇ રહ્યો છે કે, જો મોટાભાગની રકમ સિસ્ટમમાં પરત આવી ગઇ હોય, તો કાળા નાણાં ક્યાં ગયા? આ અંગે આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નિવેદન આપ્યું છે. રઘુરામ રાજને આ અંગે કહ્યું કે, તેમણે સરકારને નોટબંધીને કારણે લાંબા ગાળે થનારા ફાયદા પર નોટબંધી પછી તુરંત થનાર નુકસાન હાવી થશે, એની ચેતવણી આપી હતી. કાળા નાણાં સિસ્ટમમાં પરત લાવવા માટે તેમણે નોટબંધી સિવાય બીજા વિકલ્પો અંગે પણ સૂચન કર્યું હતું.
રઘુરામ રાજને આ વાતો પોતાના આગામી પુસ્તક 'I Do What I Do: On Reforms Rhetoric and Resolve'માં લખી છે. આ પુસ્તક આવતા અઠવાડિયે બહાર પડશે. રાઘુરામ રાજને જણાવ્યું કે, તેમના કાર્યકાળમાં ક્યારેય નોટબંધી અંગે નિર્ણય લેવાનું કહેવામાં નથી આવ્યું. રાજન અનુસાર, આરબીઆઇ તરફથી એ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી કે, યોગ્ય તૈયારીઓના અભાવને કારણે નોટબંધી બાદ શું નુકસાન થઇ શકે છે.
નોંધનીય છે કે, 5 સપ્ટેમ્બર, 2016ના રોજ રઘુરામ રાજનનો કાર્યકાળ સમાપ્ત થયો હતો અને નોટબંધીની જાહેરાત 8 નવેમ્બર, 2016ના રોજ થઇ હતી. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાકીય માહિતી અનુસાર, કુલ 15.44 લાખ કરોડમાંથી 15.28 લાખ કરોડ રૂપિયા આરબીઆઇમાં પરત આવી ગયા છે, એટલે કે 99 ટકા રૂપિયા પરત આવ્યા છે. આ પરથી કહી શકાય કે, કાળા નાણાંને બહાર પાડવામાં નોટબંધીની નીતિ નિષ્ફળ રહી.