સરકાર સપ્ટેમ્બરથી DAમાં 10 ટકા વધારો કરી શકે
આ અંગે સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાથમિક આકલનથી ખ્યાલ આવે છે કે સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં 10થી 11 ટકાની વૃદ્ધિ કરવામાં આવશે. જે આ વર્ષે 1 જુલાઇથી અમલી બનશે.
તેમણે જણાવ્યું કે સાચું આકલન 30 ઓગસ્ટે જૂનના ઔદ્યોગિક કામદારો માટેના અખિલ ભારતીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકમાં સંશોધન કર્યા બાદ લગાવી શકાશે. સરકાર દ્વારા 31 જુલાઇના રોજ જાહેર કરવામાં આવેલા જૂનના અસ્થાયી આંકડાઓ અનુસાર કારખાના શ્રમિકો માટે છુટક મોંઘવારી 11.06 ટકા હતી જે આ વર્ષે મે મહિનામાં નોંધાયેલ ફુગાવાના આંકડા 10.68 ટકા કરતા વધારે હતી.
કેન્દ્ર સરકારના કર્મચારીઓના પરિસંઘના મહાસચિવ કે કે અન કુટ્ટીએ જણાવ્યું કે "આ વખતે તે માત્ર 10 ટકા રહેશે. તેની જાહેરાત સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થાને વધારીને 90 ટકા કરવા ઉપરાંત સરકારે 50 ટકા ભથ્થાને મૂળ વેતનમાં ભેળવી દેવું જોઇએ એવી અમારી માંગ હતી. મોંઘવારી ભથ્થુ ઘણા સમય પહેલા જ 50 ટકાના બેંચમાર્કને પાર કરી ચૂક્યું છે."
નિયમ અનુસાર જ્યારે પણ મોંઘવારી ભથ્થુ 50 ટકાની પાર જાય છે ત્યારે તેને મૂળ વેતનમાં સામેલ કરી લેવામાં આવે છે. મોંઘવારી ભથ્થાના વિલયથી કર્મચારીઓના ભથ્થામાં વધારો થવાની સાથે મૂળ વેતનમાં પણ વધારો કરવામાં આવે છે.