સરકાર કોલસા ક્ષેત્રમાં તેનું વર્ચસ્વ ગુમાવશે
નવી દિલ્હી, 21 ઓક્ટોબર : કોલસા ક્ષેત્રમાં સરકારની મોનોપોલી ખતમ કરવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર સરકારે ઘડેલા વટહુકમથી ભવિષ્યમાં ખાનગી કંપનીઓ દ્વારા કોમર્શિયલ ખાણકામ કરી શકાશે, પરંતુ કોલ ઇન્ડિયાની કામગીરીને આંચકો નહીં લાગે.
કોલ, પાવર અને રિન્યુએબલ એનર્જી મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમાં કંપનીઓને બ્લોકની હરાજી કરાશે જે પાવર, સ્ટીલ અને સિમેન્ટ પ્લાન્ટ માટે કોલસાનો ઉપયોગ કરશે. અન્ય સેક્ટર માટે સરકાર અલગ બ્લોક ઓફર કરશે. તેને આશા છે કે કોલસાના બ્લોક્સ ગુમાવનારી કંપનીઓ ત્રણથી ચાર મહિનામાં ઇ-ઓક્શન દ્વારા પારદર્શક રીતે ખાણો ફરીથી ખરીદી શકશે.
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર આ અંગે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યા પ્રમાણે તેના કારણે 2005થી યુપીએ સરકારે આચરેલી ગરબડનો અંત આવશે.
ભારત કોલસા સેક્ટરને ખુલ્લું મૂકશે તો તેની સામે અનિશ્ચિત મુદતની હડતાલ પર ઊતરવાની કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ધમકી આપી છે. સરકારી માલિકીની કોલ ઇન્ડિયામાં 90 ટકા જેટલા કર્મચારીઓ યુનિયનના સભ્યો છે. જોકે, કેપ્ટિવ માઇનિંગ કંપનીઓ પાસેથી ખાણો પરત લઈને ફરીથી હરાજી કરવામાં આવે તેની સામે યુનિયનને વાંધો નથી.
આવી હરાજીમાં એવી કંપનીઓ ખાણો ખરીદશે જેઓ તેનો ઉપયોગ પોતાની જરૂરિયાત માટે કરશે. સરકાર રાજ્યોની વીજ કંપનીઓને ખાણો ફાળવે તેની સામે પણ યુનિયનને વાંધો નથી.
એસબીઆઇના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યએ આ જાહેરાત અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ હકારાત્મક સમાચાર છે. આપણે શક્ય એટલી ઝડપથી અનિશ્ચિતતા ખતમ કરવાની જરૂર છે. સરકારે સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો છે. અમને આશા છે કે ટાઇમલાઇનનું પાલન કરવામાં આવશે, કારણ કે તે ઇ-ઓક્શન માટે રિઝર્વ પ્રાઇસ પર આધાર રાખશે.