વોડાફોન સાથે સુલેહ માટે સરકાર તૈયાર : કપિલ સિબલ
આ પહેલા પૂર્વ કાયદા પ્રધાન અશ્વિની કુમારે એટર્ની જનરલની સલાહ બાદ કર જમા કરાવવાનો રસ્તો જ વિકલ્પ તરીકે બાકી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે સમજુતી કે સુલેહના માર્ગને કાયદા મંત્રાલય અને એટર્ની જનરલ બંનેએ નકારી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે બ્રિટનની કંપની વોડાફોન પર ભારતમાં અંદાજે 11 હજાર કરોડ રૂપિયાની કર ચોરી કરી હોવાનો આરોપ છે. આ કર ચૂકવવાનું કાયદા મંત્રાલયે કંપનીને જણાવ્યું હતું.
આ વર્ષના આરંભમાં નાણા મંત્રાલયની એ દરખાસ્તને કાયદા મંત્રાલયે નકારી કાઢી હતી જેમાં સુલેહનો માર્ગ અપનાવવાની તરફેણ કરવામાં આવી હતી. તે સમયે કાયદા મંત્રાલયે સમજુતી કે સુલેહની પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવી હતી. કાયદા મંત્રાલય ઉપરાંત એટર્ની જનરલે પણ સુલેહની વિરુદ્દ પોતાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે વોડાફોને પહેલા પોતાનો બાકી કર ચૂકવવો જોઇએ.
આ સમગ્ર મામલાની ખાસ બાબત એ છે કે સિબલના કામકાજ સંભાળ્યા બાદ તરત જ એટર્ની જનરલે નવી સલાહ આપતા જણાવ્યું કે વોડાફોન સાથે સમજુતી કે સુલેહ કાયદાકીય રીતે તર્કસંગત છે. કાયદા મંત્રાલયે આ માટેની મંજૂરી આપતા હવે આ સમગ્ર મામલો કેબિનેટમાં જશે. પોતાની સલાહમાં ફેરફાર મુદ્દે એટર્ની જનરલ જી ઇ વહાણવટીએ જણાવ્યું કે આમાં કાયદાને હાંસિયા પર ધકેલવાનો કોઇ પ્રયાસ કરવામાં આવ્યો નથી. આ સાથે જ સંસદની મંજૂરી વિના કશું પણ કરી શકાય એમ નથી.
કહેવામાં આવે છે કે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા (એજીઆઇ)ની સલાહમાં પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે નાણા મંત્રી પી ચિદમ્બરમની એક બેઠકમાં રાજસ્વ સચિવ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કરના અધ્યક્ષની હાજરીમાં આ સ્પષ્ટતા બાદ આવ્યું કે જેમાં ચિદમ્બરમે જણાવ્યું કે સુલેહની દરખાસ્ત કાયદા કે આવકવેરા કાયદાનું ઉલ્લંઘન કરતી નથી કે આવક વેરાની ચૂકવણીમાં કોઇ ફેરફાર કરતી નથી.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે વોડાફોને સુપ્રીમ કોર્ટમાં કર બાબતનો કેસ જીતી લીધો હતો. તેના આદેશની અસર સમાપ્ત કરવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા બાદ આવકવેરા વિભાગે વોડાફોનને નોટિસ મોકલીને કંપનીને રૂપિયા 11,217 કરોડ રૂપિયાનો વેરો વ્યાજ સાથે ચૂકવવા જણાવ્યું હતું.
આ નોટિસના જવાબમાં કંપનીએ કહ્યું હતું કે તેના પર ભારત સરકારના કોઇ લેણા બાકી નથી. આ પહેલા વોડાફોન ભારત સરકારને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવા માંગતી હતી. પાછળથી તેણે સુલેહનો માર્ગ આપનાવવાનું નક્કી કર્યું હતું. વોડાફોન પર આ દેવું હોંગ કોંગની કંપની હચીસન વામપોઆને ખરીદવા પછી ઉભી થઇ હતી. કંપનીએ આ ખરીદી વર્ષ 2007માં કરી હતી.