હોમ લોન પર વ્યાજ દરો ઘટશે : વેંકૈયા નાયડુ
નવી દિલ્હી, 29 મે : કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે તમામ વર્ગના લોકો માટે ઘર અને ગૃહ ધિરાણ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવો અમારા મંત્રાલયની પ્રાથમિકતા રહેશે. બુધવારે શહેરી વિકાસ મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું કે જો તમામ લોકો માટે આવાસનું લ્ક્ષ્ય પ્રાપ્ત કરવું હશે તો હોમ લોન ઘટાડવી જરૂરી છે.
તેમણે જણાવ્યું કે વર્ષ 2020 સુધીમાં તમામ લોકોને ઘર પૂરા પાડવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હું આ બાબત મારા સહયોગી અરૂણ જેટલી (નાણા મંત્રી) પાસે ઉઠાવીશ. અમે દરમિયાનગીરી કરીને હોમ લોનના વ્યાજ દરોમાં થોડો ઘટાડો ચોક્કસ કરીશું. તે મારી પ્રાથમિકતા હશે. નાયડુ ભાજપના રાજ્યસભા સભ્ય છે.
તેમણે એમ પણ જણાવ્યું કે તેમનું મંત્રાલય 100 સ્માર્ટ શહેરો અને યુગલ શહેરો બનાવશે. આ ઉપરાંત નાના શહેરોમાં અધોસંરચનાનો વિકાસ કરશે. નાયડુએ જણાવ્યું કે અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકાર દરમિયાન પણ સૌના માટે આવાસ એ પ્રાથમિકતા હતી. તેમણે જણાવ્યું કે તે સમયે હોમ લોન પર વ્યાજ દર 11 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ હોમ લોન દર 10થી 11 ટકા થઇ ગઇ છે.